ગુજરાતના આદિવાસી વિસ્તારની કફોડી હાલત : નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં 713 આંગણવાડીઓના મકાન નથી
Dire condition of tribal areas in Gujarat: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકારના મહિલા અને બાળક વિકાસના મંત્રીને તારાંકિત પ્રશ્નોતરીમાં પ્રશ્ન પૂછયો હતો કે તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામોમાં આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નથી, સ્થિતિએ આ મુજબ આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નથી.
પ્રફુલ પાનસેરિયાએ આપ્યો જવાબ
આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જવાબ આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં પોતાના મકાન ન હોય તેવા કેન્દ્રોની સંખ્યા ડેડીયાપાડામાં 71, ગરુડેશ્વરમાં 55, નાંદોદમાં 74, સગબારામાં 83, તિલકવાડામાં 51 જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 62, છોટા ઉદેપુરમાં 67, કવાંટમાં 73, નસવાડીમાં 75, પાવી જેતપુરમાં 68 અને સંખેડામાં 34 આંગણવાડીઓના મકાન નથી.
આ ઉપરાંત, ઉક્ત સ્થિતિએ વૈકલ્પિક વ્યવસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોના મકાન ન બનવાનાં કારણોમાં મંત્રીએ જવાબ આપ્યો કે હાલની સ્થિતિએ નર્મદામાં 182 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને 152 આંગણવાડી કેન્દ્રો અન્ય મકાનમાં બેસે છે, અને છોટાઉદેપુર જિલ્લામાં 68 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને 311 મકાન દાતા અને અન્ય સરકારી મકાનમાં કાર્યરત છે.
નર્મદા જિલ્લામાં હાલ 334 આંગણવાડી કેન્દ્રો પૈકી 197 આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે, 37 આંગણવાડી કેન્દ્રોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, અને 90 આંગણવાડી કેન્દ્રોના કામો ગ્રામ પંચાયત કક્ષાએ હોય ટુંક સમયમાં શરૂ થનાર છે, જ્યારે 10 આંગણવાડી કેન્દ્રો માટે નિયત ધારા ધોરણો મુજબની જગ્યા મેળવવાની કાર્યવાહી ચાલુ છે તેમજ હાલમાં પ્રગતિ હેઠળના કામો પૂર્ણ થયેથી મકાન પોતાના બનશે.
જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોનું હાલમાં આયોજન પૂર્ણ કરવામાં આવેલા છે, હાલ 98 કેન્દ્રો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, 100 આંગણવાડી કેન્દ્રોના કામ પ્રગતિ હેઠળમાં છે, 34 આંગણવાડી કેન્દ્રો તાંત્રિક મંજૂરી હેઠળ છે અને 147 કેન્દ્રોની પ્રાથમિક મંજૂરી મળેલી છે.