Get The App

ભાવનગર મનપા સામે કુલ 635 કેસ પેન્ડિગ, ત્રણ વર્ષમાં 227 કેસનો નિકાલ

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
ભાવનગર મનપા સામે કુલ 635 કેસ પેન્ડિગ, ત્રણ વર્ષમાં 227 કેસનો નિકાલ 1 - image


- અગાઉ વર્ષ-2022 માં મહાપાલિકા સામેના કુલ 862 કેસ પેન્ડિંગ હતા 

- મહાપાલિકા સામે જુદા જુદા કારણોસર કેસ થતા હોય છે, મહાપાલિકાની તરફેણમાં 27 કેસનો નિકાલ 

ભાવનગર : સરકારી તંત્રની સામે કોઈને કોઈ કારણોસર અરજદારો દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા હોય છે અને આ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે, આવુ જ કામ ભાવનગર મહાપાલિકાના લીગલ વિભાગ દ્વારા કરવામાં આવતુ હોય છે. મહાપાલિકા સામે જુદા જુદા કારણોસર ઘણા કેસ થયા છે, જેમાં કેટલાક કેસ ચાલી જતા મહાપાલિકાની તરફેણમાં ચુકાદા આવ્યા છે અને હજુ ઘણા કેસ પેન્ડિગ છે.  

ભાવનગર મહાનગરપાલિકાના લીગલ વિભાગ હસ્તક નામદાર સુપ્રિમ કોર્ટ, નામદાર ગુજરાત હાઇકોર્ટ, નામદાર જીલ્લા/ સેશન્સ અદાલતો, નામદાર સીવીલ કોર્ટ, નામદાર કન્ઝયુમર કોર્ટ, નામદાર લેબર કોર્ટ, નામદાર ઔદ્યોગીક અદાલત વગેરે જેવી ન્યાયીક/અર્ધન્યાયીક સત્તાઓ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાને સંલગ્ન કેસો અંગે બચાવ/રજુઆતની કામગીરી કરવામાં આવે છે. જેમાં નામદાર જીલ્લા/ સેશન્સ અદાલત સમક્ષ બચાવ/રજુઆતની કામગીરી કરવા કુલ-૬ પેનલ એડવોકેટઓ તથા નામદાર હાઇકોર્ટ સમક્ષ બચાવ/રજુઆતની કામગીરી કરવા કુલ-૧૨ પેનલ એડવોકેટઓની નિમણુંક કરવામાં આવેલ છે. નામદાર કોર્ટ સમક્ષના પેન્ડિંગ કેસોની લીગલ વિભાગ દ્વારા સતત સબંધિત વિભાગના સંપર્કમાં રહી એડવોકેટઓ સાથે સમીક્ષા કરવામાં આવે છે. જેના કારણે અગાઉ વર્ષ-૨૦૨૨ માં પેન્ડિગ કુલ-૮૬૨ કેસો પૈકી હાલ કુલ-૬૩૫ કેસો પેન્ડિગ રહેવા પામેલ છે એટલે કે પાછલા ત્રણ વર્ષોમાં પેન્ડિંગ કેસોમાં કુલ-૨૨૭ કેસોનો નોંધપાત્ર ઘટાડો થયેલ છે. 

મહાપાલિકા સામેના કુલ ર૮ કેસનો નિકાલ થયો છે, જેમાં ર૭ કેસમાં મહાપાલિકાની તરફેણમાં ચુકાદા આવ્યા છે તેમ ભાવનગર મહાપાલિકાના લીગલ ઓફિસરે માહિતી આપતા જણાવેલ છે.


Google NewsGoogle News