નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
નડિયાદમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું 1 - image


Rain in Nadiad : ખેડા જિલ્લામાં સોમવારના સાંજના 6 વાગ્યા સુધીના 36 કલાક દરમિયાન સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં નડિયાદ શહેરમાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુધા અને વસો તાલુકામાં 4 ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, ગળતેશ્વરમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ઠાસરામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. સાડા છ ઈંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જતા શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું.

સોમવારની રાત્રે બે વાગ્યે મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂ કરી હતી. જ્યાં મોડી રાતે શરૂ થયેલો વરસાદ દિવસભર ચાલ્યો અને સાંજે 4 વાગ્યાની આસપાસ વિરામ લીધો હતો. આ ૧4 કલાકના સમયમાં જિલ્લામાં સાર્વત્રિક 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નડિયાદ સહિત જિલ્લા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ હતી. સોમવારની મોડી રાતના 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મેઘરાજા મનમુકીને વરસતા નડિયાદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. 

નડિયાદ શહેરમાં વરસેલા વરસાદના કારણે શૈશવ હોસ્પિટલના ઢાળથી રબારીવાસ સુધીનો રોડ, વાણિયાવડ, પીજ રોડ, સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વરસેલા ભારે વરસાદના કારણે માઈ મંદિર, ખોડિયાર, શ્રેયસ અને વૈશાલી અન્ડરબ્રીજમા પાણી ભરાયા હતા. જેથી શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. અને પૂર્વથી પશ્ચિમ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. નડિયાદ વાસીઓને પૂર્વથી પશ્ચિમ તરફ આવવાજવા માટે મિશન રેલવે બ્રિજ અને કિડની હોસ્પિટલના બ્રિજનો ઉપયોગ કરવો પડયો હતો. 

આ સાથે સાથે આજે સોમવારે ખુલતો દિવસના પગલે નોકરીયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. મોટાભાગના વાલીઓએ સંતાનોને સ્કૂલે પણ મોકલ્યા નહોતા. ખેડા જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે. ચોમાસાની સિઝનમાં જુનમાં વરસાદની ઘટ બાદ જુલાઈ માસ પણ એવો રહ્યો હતો પરંતુ એ બાદ જુલાઈના છેલ્લા દિવસોમાં વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. સોમવાર ચાલુ દિવસ હોવાથી નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને જવા આવવા માટે રેઈનકોટ, છત્રીનો સહારો લેવો પડયો હતો.

નડિયાદમાં જાહેર સ્થળે 2 દિવાલ ધરાશાયી

નડિયાદમાં જાહેર સ્થળોની 2 દિવાલો ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં માઈ મંદિર પાસે આવેલ તલાટી બાગની ૧૫થી 2૦ ફૂટની કંપાઉન્ડ વોલની દિવાલ એકા એક ધરાશાઈ થઈ ગઈ હતી. વહેલી સવારે આ ઘટના બની હતી. આ ઉપરાંત તલાટી બાગમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા જો કે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, બાજુના કાંસનુ પાણી તલાટી બાગમાં ફરી વળ્યા હતા અને પણીનો ફોર્સ દિવાલની બંને બાજુ રહેતા આ જર્જરિત દીવાલ તૂટી પડી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. બીજીતરફ મોડી સાંજે નડિયાદનું મુખ્ય કહેવાતા શ્રેયસ ગરનાળાની એકતરફની દિવાલ તૂટી પડી હતી. ગરનાળામાં પાણી ભરાયેલા હોય અને અવર-જવર બંધ હોવાના કારણે દિવાલ તૂટીને સીધી પાણીમાં પડી છે. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

ખેડા જિલ્લામાં વરસાદ ( મીમી)

કપડવંજ 

64    

કઠલાલ  

5૦  

મહેમદાવાદ  

49   

ખેડા 

50  

માતર 

૪૯  

નડિયાદ 

156    

મહુધા 

102    

ઠાસરા 

33  

ગળતેશ્વર 

49  

વસોમાં 

100   

સરેરાશ 

65   

( નોંધઃ સોમવારના સાંજના 6 વાગ્યા સુધીના છેલ્લા ૩૬ કલાકના વરસાદી આંકડા છે)


Google NewsGoogle News