જામનગરમાં 2019 બાદ ફરી કોંગો ફીવરે માથું ઉંચક્યું, આધેડના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ
Congo fever Case in Jamnagar : જામનગરમાં ફરી કોંગો રોગનો વાયરસ દેખાતાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડદામ વ્યાપી ગઈ હતી.
આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના 50 વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમનું સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.
તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં. જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યું હતું. જે કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.
જામનગરમાં 2019માં નોંધાયો હતો પહેલો કેસ
જામનગરમાં ક્રિમિઅન-કોંગો હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ વર્ષ 2019માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગો થયો હતો હવે ફરી પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ પ્રહરી ગયો છે.
કોંગો વાયરસના લક્ષણો
- આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા.
- સંક્રમણના 2 થી 4 દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ
- મોં, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.