પાલનપુર-ગાંધીનગરના 50 પ્રવાસીઓ જમ્મૂ-કશ્મીરથી વતન પરત ફર્યા, રામબન હોનારત-આતંકી હુમલાથી ફસાયા હતા
Palanpura-Gandhinagar News : જમ્મુ અને કાશ્મીરના રામબનમાં 20 એપ્રિલ, 2025ના રોજ વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાથી ભૂસ્ખલન થયું હતું. જ્યારે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ કુદરતી આફતના કારણે ફસાયા હતા. જેમાં રામબન જિલ્લાના ને.હાઈવે નંબર 14 પર બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પ્રવાસીઓ અટવાયા હતા. જેને લઈને ભારતીય સેના અને પ્રશાસનો દ્વારા ગુજરાતના પ્રવાસીઓને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે શનિવારે (26 એપ્રિલ, 2025) 6 દિવસ બાદ પાલનપુર-ગાંધીનગરના 50 પ્રવાસીઓ હેમખેમ વતન પરત ફર્યા છે.
બનાસકાંઠા-ગાંધીનગરના 50 પ્રવાસી હેમખેમ વતન ફર્યા
જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના ને.હાઈવે નંબર 14 પર બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ ભૂસ્ખલનને કારણે ફસાયા હતા. આ મામલે બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. ગુજરાત પોલીસે જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી. જ્યારે આ પછી તમામ પ્રવાસીને નજીકના આર્મી કેમ્પ ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રવાસીઓને જરૂરી પાયાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કુદરતી આફત વચ્ચે પહલગામમાં આતંકી હુમલાથી પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં વરસાદી તબાહી વચ્ચે 50 ગુજરાતી પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
જ્યારે બનાવ બાદ ગાંધીનગર અને પાલનપુરના પ્રવાસીઓને વતન પરત લવાતા હાંસકારો અનુભવ્યો હતો. જ્યારે તમામ પ્રવાસીઓએ પહલગામ આતંકી હુમલાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આંતકવાદીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સરકારને માગ કરી હતી.