વડોદરા શહેર જિલ્લામાં બોટિંગ સાથે સંકળાયેલા 50 હજાર કુટુંબો બેરોજગાર બન્યાં
હરણી બોટ કાંડ બાદ સરકારના બિનવ્યવહારૃ નિયમોથી આ સ્થિતિનું નિર્માણ થયુ
વડોદરા : હરણી બોટ કાંડ બાદ ગુજરાત સરકારે બોટિંગ પ્રવૃત્તિ માટે બનાવેલા કડક નિયમોને કારણે ધાર્મિક સ્થળોએ બોટિંગ અને ફિશિંગ કરીને રોજીરોટી મેળવતા આશરે ૫૦ હજાર કુટુંબો મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે.
બોટ નિર્માણનું અને બોટ ડ્રાઇવરનું લાઇસન્સ, ફિટનેસ સર્ટિ., વીમો વગેરેના નિયમો આકરા કરતા પરેશાની
વડોદરા પૂર્વ મેયર ડો. રાજેન્દ્રસિંહ રાઠોડની રજૂઆત મુજબ હાલ કેવડિયા અને સાબરમતી ખાતે ક્રૂઝ અને દ્વારકા તથા સાપુતારામાં બોટિંગ ચાલુ જ છે. શુકલતીર્થ, કબીરવડ જવા પણ હોડીઓ ફરે છે. નદીમાં રેતી ખનનમાં ચાલતી બોટોમાં હપ્તાબાજી ચાલે છે, એવો આક્ષેપ કરી તેમણે વેળાસર બોટ ચલાવવા નિયમો હળવા કરી મંજૂરી આપી ૫૦ હજાર કુટુંબો પરની આર્થિક ભીંસ દૂર કરવા માગ કરી છે.
નાવડીઓ ઉપર પ્રતિબંધના કારણે નર્મદા કાંઠા વિસ્તારના ૫૦૦થી વધુ નાવિક પરિવારોને બે ટંક ખાવાના પણ ફાંફા
વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારમાં ગામોમાં હોડી આજિવીકાનું સાધન છે. પરંતુ, વડોદરામાં હરણી તળાવની બોટ દુર્ઘટના બાદ એક વર્ષથી હોડી ઉપર પ્રતિબંધ હોવાથી ડભોઇ તાલુકાના પ્રસિધ્ધ તીર્થક્ષેત્ર ચાંણોદ, કરનાળી, શિનોર, માલસર, નંદેરીયા તથા કરજણ તાલુકાના નારેશ્વર, મોટી કોરલ સહિતના ગામોના આશરે એક હજારથી વધુ નાવિક પરિવારો આર્થિક સંકટમાં ઘેરાઇ ગયા છે. આ પરિવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એ હદે ખરાબ થઇ છે કે બે ટંક પુરતુ ખાવાનું પણ નસીબ થતુ નથી.
ચાંણોદ, કરનાળી, શિનોર, માલસર, નંદેરીયા, નારેશ્વર, મોટી કોરલના નાવિક પરિવારોના ઘરમાં બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે
નાવિકોની વારંવારની રજૂઆત છતાં ૧૪ વર્ષથી નાવડીઓના પરવાના નથી અપાયા
ચાંણોદ નાવિક શ્રમજીવી મંડળના આગેવાનોનું કહેવું છે કે ચાંણોદમાં ૧૦૩, કરનાળીમાં ૩૦ અને નર્મદા જિલ્લામાં ૬૦ મળીને આશરે ૧૯૩ જેટલી નાવડીઓ હાલમાં છે. તંત્ર દ્વારા નાવડી, હોડી, બોટ ચલાવવા પરવાનો આપવામાં આવે છે. આ પરવાનો છેલ્લે ૨૦૧૧માં અપાયો હતો ત્યાર પછી સરકારે પરવાનો આપવાનું બંધ કરી દીધુ છે. ચાંણોદ તીર્થક્ષેત્ર ગુજરાતનું કાશી ગણાય છે. અહી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર અસ્થિ વિર્સજન માટે આખા દેશમાંથી લોકો આવે છે. આ ઉપરાંત શ્રાધ્ધ વિધિ, પિતૃ તર્પણ, પીન્ડ વિર્સજન સહિતની ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન માટે હજારો લોકો આવે છે. નર્મદા તટ ઉપર આવેલા પ્રાચીન મંદિરોના દર્શન માટે ધસારો રહે છે. નર્મદા પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. ફિલ્મોની શૂટિંગ અહી થાય છે. આ તમામ લોકો માટે કાંઠા વિસ્તારમાં એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા હોડી મહત્વનું સાધન બની રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી હોડીનો પરવાનો આપવાનું બંધ કરાયુ છે.