સુરતમાં વરસાદના લીધે વધુ 40 વૃક્ષ ધરાશયી : એક યુવાનને ઇજા
Updated: Jul 2nd, 2024
- વરાછામાં, બમરોલી રોડ, પીપલોદ રોડ પર ઝાડ તુટીને વાહન પડયા અને પરવત પાટીયા ખાતે તબેલા ઉપર ઝાડ પડયુ
સુરત,:
વરસાદના પગલે સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં વૃક્ષ ધરાસયી થવાનો સિલસિલો થયાવત રહેવા પામ્પો છે. જોકે સોમવારે મોડી રાતથી આજે મંગળવારે સાંજ સુધીમાં વધુ ૪૦ જેટલા વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટતા ભાગદોડ થઇ જવા પામી હતી. જેમાં કતારગામમાં યુવાને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ કતારગામમાં ફુલપાડા ખાતે દેવીકૃર્પા સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય મોજીબુરા યુશુફ લશ્કર સોમવારે રાતે કતારગામ જી.આઇ.ડી.સીમાંથી પસાર થયો હતો. ત્યારે અચાનક ઝાડની દાળ તુટીને તેના ઉપર પડતા પેટમાં ઇજા થતા સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં તેને રજા આપવામાં આવી હતી. આ સાથે વરાછામાં મીની બજારમાં અચાનક ઝાડ તૂટીને ફોર વ્હિલ કાર, બમરોલી રોડ કૈલાશનગર પાસે રીક્ષા ઉપર, પીપલોદ ઇચ્છાનાથ મહાદેવ મંદિર પાસે ફોર વ્હિલ કાર ઝાડ પડયુ હતું. જયારે પરવત પાટીયા ખાતે હનુમાન મંદિર પાસે ગત મોડી રાતે તબેલામાં ૫૦ જટલી ગાયો બાંધેલી હતી. ત્યારે ઝાડ નમી જવાથી તબેલાના પતરા ઉપર પડયુ હતુ. બાદમાં તબેલા માંથા ગાયો બહાર કાઢીને ફાયરે ઝાડ કાપવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત વરાછા, કતારગામ, અડાજણ, રાંદેર, પાંડેસરા, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદના લીધે ગત રાત થી આજે મંગળવાર સાંજ સુધીમાં વૃક્ષ અને વૃક્ષની દાળ તૂટી પડવાના ૪૦ થી વધુ કોલ મળ્યા હતા. જેથી ફાયરજવાનો રાત થી આખો દિવસ કામગીરી માટે દોડતા રહ્યા હતા અને ધટના સ્થળે જઇને ઝાડ સાઇડમાં કરીને દાળીઓ કાપવાની કામગીરી કરી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.