આપઘાત કરવા જતી મહિલાને જોવાની લાહ્યમાં 4 વાહનો અથડાયા
- ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર
- અકસ્માતથી વાહનોની કતારો જામી,નદીમાં કૂદવા જતી મહિલાને પોલીસ મથકે લઇ જઇ પરિવારને સોંપી
ભરૂચ : ભરૂચની પવિત્ર નર્મદા નદી ઉપર વાહન વ્યવહારને લઇ નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કર્યુ છે પરંતુ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ વધુ એક મહિલા ગત મોડી રાત્રે નદીમાં કૂદવા જતાં કાર ચાલકે જોવા માટે બ્રેક લગાવતા તેની પાછળ અન્ય ૪ વાહન ચાલકો એક પછી એક અથડાયા હતા.જેના કારણે વાહનોની લાંબી કતારો જામી હતી.
અંકલેશ્વર-ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે એક મહિલા નદીમાં કૂદવા માટે દોડી રહી હતી.તે ઘટનાને નિહાળવા માટે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ૪ વાહનો એક પછી એક અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. સમગ્ર ઘટનામાં નર્મદા મૈયા બ્રિજ પર કૂદવા આવેલી મહિલા ને પોલીસના હવાલે કરતા પોલીસે પરિવારને સમજાવટ કરી મામલાને થાળે પાડયો હતો.