અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 1 - image


Jain Devotees: અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ 35 જૈન દીક્ષાનો મહા મહોત્સવ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ દીક્ષાના મહા નાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ પર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં વહેલી સવારે 5:30 કલાકે દીક્ષાની મંગળ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 30 હજારની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો.

15 આચાર્ય ભગવંત અને 400 સાધુ-સાધ્વીની છત્રછાયામાં ઓઘો અર્પણવિધિ 

15 આચાર્ય ભગવંતો તેમજ 400 જૈન સાધુ-સાધ્વીજીની છત્રછાયામાં સવારે 7:35 કલાકે 35 મુમુક્ષુને સાધુજીવનના પ્રતીક સમાન ઓઘો અર્પણ કરવાની વિધિ શરૂ કરાઈ હતી. ત્યાર પછી 25 મિનિટમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના હસ્તે 35 મુમુક્ષુને ઓઘો અર્પણ કરાયો હતો. તેમાં 15 ભાઈ અને 20 બહેન સામેલ હતા. દીક્ષાર્થીઓના હાથમાં ઓઘો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન સાથે ત્રણ પ્રદક્ષિણા કરીને મન મૂકીને આનંદ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 2 - image

ઓઘો અર્પણવિધિ પછી જીવનનું અંતિમ સ્નાન કરીને સાધુ-સાધ્વીનો વેશ ધારણ કર્યો

ઓઘો અર્પણવિધિ પૂર્ણ થયા પછી મુમુક્ષુઓ તેમના જીવનનું અંતિમ સ્નાન કરીને સાધુ-સાધ્વીજીનો વેશ અંગીકાર કરવા ગયા હતા. ત્યાર પછી થોડી જ વારમાં તેઓ સંસારી વાઘા ઊતારીને સાધુજીવનનાં શુભ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા હતા. એ શુભ મૂહુર્તમાં લોચની વિધિ કરાઈ હતી. આ સાથે જ 35 મુમુક્ષુના સંસારી નામ રદ કરીને સાધુ જીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં.

ભવ્ય સામૈયા સાથે અમદાવાદમાં દીક્ષા મહોત્સવ શરૂ થયો હતો  

જૈનોના પાટનગર ગણાતા અમદાવાદમાં 35 દીક્ષાના મહોત્સવનો 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે પ્રારંભ કરાયો હતો. ત્યાર પછી 21 એપ્રિલે મુમુક્ષુઓની વર્ષીદાન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા બાદ મુમુક્ષુઓને સાધુ જીવન માટે ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરાવવાની કરોડો રૂપિયાની ઉછામણી બોલવામાં આવી હતી.

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 3 - image

મુમુક્ષોએને વિદાય તિલક કરીને નિવાસ સ્થાનેથી વિદાય અપાઈ હતી 

આ દરમિયાન 22 એપ્રિલે વહેલી સવારે 4:32 કલાકે 35 મુમુક્ષુને કપાળે વિદાય તિલક કરીને તેમના નિવાસસ્થાનેથી વિદાય અપાઈ હતી. આ પ્રસંગે એવી ભાવના રખાઈ હતી કે, તેઓ મોહરાજા સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીને મોક્ષગામી બને. આ 35 મુમુક્ષુ હાથમાં શ્રીફળ લઈને દીક્ષા મંડપમાં આવ્યા પછી તેમણે સ્ટેજ પર બનાવેલા સમોવસરણમાં પરમાત્માને વંદન કરીને ત્રણ પ્રદક્ષિણા કરી હતી અને ગુરુ ભગવંતોને વિધિસર વંદન કર્યા હતા.

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 4 - image

મુમુક્ષુઓએ ગુરુ ભગવંતોને બે હાથ જોડીને નીચે મુજબ ત્રણ વિનંતીઓ કરી હતી:

1. મમ મુંડાવેહ : મારા દોષોને દૂર કરવા પ્રતિમાત્મક રીતે મારું મુંડન કરો.

2. મમ પવ્વાવેહ : મને પ્રવ્રજ્યાનું પ્રદાન કરીને પ્રકર્ષપણે સંસારથી દૂર લઈ જાઓ.

3. મમ વેશં સમ્મપેહ : મને મોહ સામે લડવાના સરંજામરૂપ સાધુવેશ અર્પણ કરો.

આ રીતે મુમુક્ષુઓ દ્વારા માગણી કર્યા પછી ગુરુ ભગવંતે તેમને ઓઘો અર્પણ કર્યો હતો. ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ સ્નાન કરીને સાધુવેશમાં સજ્જ થઈને પાછા ફર્યા હતા. ત્યાર બાદ મુમુક્ષુઓને ગુરુ ભગવંત દ્વારા લોચની પ્રતીકાત્મક વિધિ કરાઈ હતી. 

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 5 - image

આ સાથે તેમને સાધુ જીવનના પ્રથામ સોપાન જેવી તથા સર્વ પાપોના આજીવન ત્યાગ સમાન સર્વવિરતિ ધર્મની નીચે મુજબની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી કે, ‘કરેમિ ભંતે સામાઈયં, સવ્વં સાવજ્જં જોગં પચ્ચક્ખામિ, જાવ જીવાએ પજ્જુવાસામિ, તિવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાયેણં, ન કરેમિ, ન કારવેમિ, કરંતં અપિ અન્નં ન સમુજ્જાણામિ, તસ્સ ભંતે, પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.’

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 6 - image

આ મહોત્સવના અંતે દીક્ષાની વિધિના અંતિમ ચરણમાં 35 મુમુક્ષુનાં સંસારી નામ કાયમ માટે રદ કરીને તેમને સાધુ જીવનનાં નવાં નામ અપાયા હતા. પાંચ દિવસના આ દીક્ષા મહોત્સવનો લાભ અમદાવાદના પાંચ લાખથી વધુ જૈનો દ્વારા લેવાયો હતો.

અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો 7 - image


Google NewsGoogle News