વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં વર્ષ-૨૦૨૪માં ૩૦૬ વ્યક્તિએ જિંદગી ગુમાવી
અકસ્માતમાં સૌથી વધુ ટુ વ્હીલરના કારણે ૧૪૫ લોકોએ જીવ ગુમાવ્યો, ફોર વ્હીલરના લીધે ૬૯ના મોત
વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૨૪માં વિવિધ માર્ગ અકસ્માતમાં કુલ ૩૦૬ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. સૌથી વધારે અકસ્માત માટે ટુ વ્હીલરો જવાબદાર હોવાનું આંકડા પરથી બહાર આવ્યું છે જ્યારે બીજા નંબરે ફોર વ્હીલરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં નેશનલ હાઇવે, એક્સપ્રેસ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ પંચાયતના હાઇવે આવેલા છે. આ માર્ગો પરથી રોજે રોજ ગામ અથવા તાલુકા મથકો પરથી મોટી સંખ્યામાં વાહનચાલકો અવરજવર કરતાં હોય છે. કેટલીક વખત વાહનચાલકોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે અને નિર્દોષ વ્યક્તિઓએ જીવન ગુમાવવું પડે છે.
તંત્ર દ્વારા અકસ્માતોના બનાવો તેમજ તેમાં મૃત્યુ પામનાર અને ઇજાગ્રસ્તો અંગેનું મોનિટરિંગ થતું હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૪માં કુલ ૨૭૫ અકસ્માતના બનાવો બન્યા છે જેમાં ૩૦૬ વ્યક્તિઓનું મોત થયું હતું. મૃતકોની સંખ્યામાં ૨૬૯ પુરુષ અને ૩૭ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. મહત્વની બાબત એ છે કે હાઇવે પર પૂરપાટઝડપે દોડતા ટુ વ્હીલરોના કારણે સર્જાયેલા અકસ્માતમાં સૌથી વધારે મોત નિપજ્યા છે. ટુ વ્હીલરના કારણે થતાં અકસ્માતમાં કુલ ૧૪૫ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ફોર વ્હીલર એટલે કે કાર, ટેક્સી, વાન જેવા વાહનોના કારણે થતા અકસ્માતમાં ૬૯ વ્યક્તિઓ અને ટ્રકના કારણે ૨૫, એસટી બસના કારણે ૬ વ્યક્તિઓના મોત થયા છે. અકસ્માતોમાં કુલ ૫૭૪ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ચાલતી જતી હોય તેવી કુલ ૪૭ વ્યક્તિઓના પણ મોત થયા છે.
વર્ષ-૨૦૨૩માં કુલ ૩૧૫ વ્યક્તિઓના મૃત્યું અકસ્માતોના કારણે થયા હતાં તેની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં મૃત્યુઆંકમાં સાધારણ ઘટાડો થયો છે. હાઇવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોવા છતાં અકસ્માતો સર્જાતા હોય છે. અકસ્માત માટે સૌથી મોટું કારણ નિર્ધારિત સ્પીડના બદલે વધારે સ્પીડ બહાર આવ્યું છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોય પરંતુ પૂરપાટઝડપે દોડતા આ વાહનોના કારણે અકસ્માતો સર્જાતા હોય છે.
સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં સૌથી વધારે મૃત્યુ
રોડ મૃત્યુની સંખ્યા
એક્સપ્રેસ વે ૭
નેશનલ હાઇવે ૫૫
સ્ટેટ હાઇવે ૧૧૨
અન્ય રોડ ૧૩૨
કુલ ૩૦૬