જામનગરમાં અતિ ચકચાર જનક કિસ્સો : પ્રેમલગ્ન કરનાર યુવાનના બહેન-બનેવી સહિતના ત્રણ સભ્યોનું અપહરણ
Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિનું એક બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ આરોપીઓને શોધી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધૂન ધોરાજીમાં રહેતા કૈલાશભાઈ આદિવાસી અને તેના પત્ની ઉષાબેન તથા પુત્રી નિશાબેન કે જેઓ ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા, જે દરમિયાન વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા ગોટુ માવી અને બે અજાણ્યા શખ્સો એક સફેદ કલરની બોલેરો કારમાં આવ્યા હતા, અને કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢોર માર માર્યો હતો.
ત્યારબાદ કૈલાશભાઈ તેના પત્ની ઉષાબેન અને પુત્રી નિશાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. આથી આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને ચારેય અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કૈલાશભાઈના સાળા દિનેશે આજથી થોડા દિવસ પહેલા આરોપી વિક્રમની બહેન જિગલીબેન સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનો ખાર રાખીને ગઈકાલે રાતે ચારેય આરોપીઓ આવ્યા હતા, અને કૈલાશભાઈ તથા તેની પત્ની અને પુત્રીનું અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.