Get The App

પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન 1 - image


Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આજે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા)  સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.  

ભાવનગર-પાલિતાણાના સિનિયર સિટીઝન-યુવાનોનું 20 લોકોનું ગ્રુપ 15 દિવસના પ્રવાસે ગયું હતું

જ્યારે આતંકવાદી હુમલા બાદ કાળિયાબીડના પિતા-પુત્રનું મોત થતાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ હુમલામાં ભાવનગરના પર્યટકો પણ ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો. 

જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-104માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.62)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું 20 લોકોનું ગ્રુપ ગત 16મી એપ્રિલના રોજ 15 દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું. 

પહલગામ હુમલાના વિરોધમાં આજે કાશ્મીરમાં પૂર્ણ બંધનું એલાન

PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, 'ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (23 એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.'

પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન 2 - image

આ પણ વાંચો: VIDEO : પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા, ચીસા-ચીસ મચી હતી

શ્રીનગર કંટ્રોલ રૂમ દ્વારા મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

0194-2483651

0194-2457543

7780805144

7780938397

7006058623

અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો 

થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે. 

માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. 


Tags :