લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબાના 104 પાસ કાઢી આપવાના બહાને 3.64 લાખની ઠગાઈ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબાના 104 પાસ કાઢી આપવાના બહાને 3.64 લાખની ઠગાઈ 1 - image

image : Social media

Lukshmi Vilas Palace Heritage Garba : લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવ નામે પાસ કાઢી આપવાના બહાને રૂ.3.64 લાખની ઠગાઈ કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. જે અંગે ગોરવા પોલીસમાં અરજી કરવામાં આવી છે. ઠગાઈ કરનાર પોતે આયોજકો સાથે સંકળાયેલો છે તેવો વિશ્વાસ પેદા કરાવ્યો હતો.

 લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબા મહોત્સવના પાસની ડિમાન્ડ વધતા ગરબા મહોત્સવના આયોજકો સાથે સંકળાયેલા હોય તે વ્યક્તિઓ લાભ ઉઠાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગયા વર્ષે જેણે ગરબાના પાસ આપ્યા હતા તે વ્યક્તિ પર વિશ્વાસ રાખી આ વર્ષે તેમના મિત્રએ વધારે પાસ કાઢવા માટેનું જણાવી પાસ દીઠ રૂા.3500નો ખર્ચ થશે તેમ કહી રૂ.3.64 લાખની ઠગાઈ કરવામાં આવી છે.

 સુભાનપુરા વિનાયક જનરલ સ્ટોર સામે રહેતા જય કનુભાઈ પ્રજાપતિએ ગોરવા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી આપી જણાવ્યું કે, ગયા વર્ષે લક્ષ્મીવિલાસ હેરીટેજ ગરબા મહોત્સવના પાસ લેવા માટે અમે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, તેમને આ વખતે મળ્યા હતા. ગયે વર્ષે કાઢી આપ્યા હતા તે રીતે આ વર્ષે કાઢી આપવાનું કહેતા અમે તા.22-9-24ના રોજ સુભાનપુરા પુજેર કોમ્પલેક્ષ મહાકાળી સેવ ઉસળની દુકાન પાસે ભેગા થયા હતા એક પાસના રૂ.3500 થશે તે રીતે નક્કી કર્યું હતું. તે સમયે અમે 15 પાસ માટેનું કહીને રોકડા રૂ.60 હજાર આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ મારા બંને મિત્રોએ પણ વધારાના પાસ કઢાવવા મારી પાસે માગણી કરતા ફરીવાર અમે ભેજાબાજનો સંપર્ક કર્યો હતો અને કુલ 104 પાસ કાઢવા જણાવ્યું હતું. જેથી બીજા રૂપિયા માગતા અમે તેમને છુટક-છુટક કુલ રૂ.3.64 લાખ 104 પાસના આપ્યા હતા.

 તારીખ 2ના રોજ કુલ 104 પાસ આપવાનું નક્કી તેમને કર્યું હતું, પરંતુ મોબાઇલ પર સંપર્ક કરતા કોઇ જવાબ આપ્યો નહી અને પછી અમને લાગ્યું કે તેઓએ અમારી સાથે ઠગાઈ કરી છે. જેથી તેના વિરૂધ્ધમાં ફરિયાદ નોંધવા અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News