વેરાવળ પાસે 27 ફૂટની વ્હેલ શાર્ક જાળમાં ફસાઈ, 25 મિનિટમાં રેસ્ક્યુ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
વેરાવળ પાસે 27 ફૂટની વ્હેલ શાર્ક જાળમાં ફસાઈ, 25 મિનિટમાં રેસ્ક્યુ 1 - image


વ્હેલ શાર્ક માછલીને ગુજરાતનો સાગરકાંઠો વધુ પસંદ સેટેલાઈટ ટેગ લગાવી સુરક્ષિત છોડી મુકાઈ, વ્હેલનાં પરિભ્રમણ, રહેઠાણ, સ્થળાંતર પર વન વિભાગે વૈજ્ઞાાનિક સંશોધન કાર્ય આદર્યું 

વેરાવળ, : વેરાવળ નજીક ફિશિંગ હાર્બર નજીક 12 કિલોમીટરના અંતરે માછીમારી કરતી બોટે માછલીઓ પકડવા માટે જાળ ફેંકતા આ જાળમાં 27 ફૂટ લંબાઇની વ્હેલ શાર્ક ફસાઇ ગઇ હતી. આ માછલીને રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા મુક્ત કરવામાં આવી હતી તેમજ તેના વિચરણ બાબતે ખાસ ટેગ લગાડવામાં આવી છે. બે દાયકા દરમિયાન ગુજરાતમાંથી 930 વ્હેલ માછલીનું રેસ્ક્યૂ કરાયું છે.

ગુજરાતના દરિયામાં આ દુર્લભ પ્રજાતિની માછલી વસવાટ કરવાનું પસંદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેના પરિભ્રમણ માટેની પેટર્ન્સ સમજવાનો ઉદેશ્ય સાથે, વન વિભાગ ગુજરાત રાજય અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત પાંચ સેટેલાઇટ ટેગ લગાવવામાં આવનાર છે.

નાયબ વન સંરક્ષક અક્ષય જોશીના સીધા માર્ગદર્શન હેઠળ  હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં  તા.28 માર્ચના દિવસે વેરાવળ ફિશિંગ હાર્બરથી 12 કિમી દૂર આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ 27 ફૂટ લાંબી નર વ્હેલશાર્કને રેસ્ક્યું ઓપરેશન વડે સુરક્ષિત પરત છોડી મૂકવાની સાથે તેના પર  સેટેલાઇટ ટેગ લગાવવામાં આવેલ છે.

વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ તેમજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ફીલ્ડ ટીમ દ્વારા આ વ્હેલશાર્ક પર સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાવવાનું કામ સંપન્ન કરવા માટે કામગીરી કરાઈ હતી. તે પ્રક્રિયાનું પૂર્ણ થવા અને આ દરિયાઈ વન્યપ્રાણીને સમુદ્રમાં પ્રકૃતિ સંપન્ન સ્થિતિમાં છોડવા માટે 25  મિનિટનો સમય લાગ્યો. વર્ષ 2011થી 2017 દરમિયાન, જૂનાગઢ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા આઠ જેટલા સેટેલાઈટ ટેગ લગાવવામાં આવેલ હતા. આ વૈજ્ઞાાનિક સંશોધન કાર્ય દ્વારા વ્હેલશાર્કના ગુજરાતનાં દરિયામાં પરિભ્રમણ અને તેના વસવાટ અનુસંધાને ખુબજ મહત્વની માહિતી પ્રાપ્ત થયેલ છે.

ગુજરાતમાં વ્હેલશાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત સહ-સંકલિત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભારતની દરિયાઈ વન્યજીવ પ્રાણીઓના સફળ સંચાલન કામગીરી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પડે છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતનાં દરિયાકાંઠે કાર્યરત આ વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત છેલ્લા બે દાયકાના સમયગાળા દરમિયાન લગભગ 930થી પણ વધુ આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક માછલીઓને ગુજરાતનાં સાગરખેડુઓ દ્વારા પોતાની અમુલ્ય જાળને કાપીને સુરક્ષિત છોડી મૂકી તેનો જીવ બચાવી લીધેલ છે અને જૂનાગઢ વન વિભાગ દ્વારા તેમને પોતાની જાળના નુક્શાન પેટે આથક વળતર ચૂકવવામાં આવેલ છે.


Google NewsGoogle News