વડોદરા કોર્પોરેશનમાં હજુ 2238 પેન્શનરોએ પોતાની હયાતીની ખાતરી કરાવી નથી
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 8454 જેટલા પેન્શનર અને ફેમિલી પેન્શનરો પેન્શન મેળવે છે. જેમાંથી 6216 પેન્શનરો દ્વારા અત્યાર સુધીમાં પોતાની હયાતી અંગેની ખાત્રી કરાવી લીધી છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 73% થી પણ વધુ છે. હજુ બાકી રહેલા 2238 પેન્શનરોને હયાતીની ખાતરી કરાવી લેવા ફોન દ્વારા જાણ કરવામાં આવે છે.
હયાતીની ખાતરી માટે છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. જે પેન્શનરો હયાતીની ખાતરી કરાવતા નથી તેઓને પેન્શન મુદ્દે પાછળથી તકલીફો ઊભી થતા દોડાદોડી કરવાનો વારો આવે છે. જોકે કોર્પોરેશનમાં દર વર્ષે આશરે એક હજારથી વધુ પેન્શનરો આ પ્રક્રિયા પૂર્ણ કરતા નથી અને તેઓને બાદમાં દોડવું પડે છે. આ વર્ષે હયાતી અંગેની ખાતરી કરાવી લેવા માટે નવતર અભિગમ અપનાવી સરકારના “જીવન પ્રમાણ” અને "આધાર ફેસઆરડી" થકી હયાતી અંગેની પ્રકિયાને ઓનલાઇન કરી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા ઉભી કરેલ છે. પેન્શનરોને ઘેર બેઠા હયાતીની સુવિધા મળી રહે તેના ભાગરૂપે મહાનગરપાલિકામાં પ્રથમ વખત આ સુવિધા શરૂ કરવામાં આવી છે.