સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! ગટરમાં પડેલો કેદાર 24 કલાક બાદ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળ્યો
Surat News: સુરતના વરિયાવ વિસ્તારમાંથી રૂંવાડા ઊભા કરી દેતી ઘટના સામે આવી છે. ગઇકાલે (5 ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ આજે (6 ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી છે. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.
જણાવી દઈએ કે, અમરોલી - વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. આ ઘટનામાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે.
સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન સાથે મહાનગર પાલિકાના લાપરવાહીને પગલે માસુમ બાળક સાથે સર્જાયેલી દુર્ઘટનાને કારણે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
બાળકની માતાએ શું કહ્યું?
આ મામલે બાળકની માતાએ કહ્યું કે, 'અમે રાધિકા પોઈન્ટ નજીકથી જઇ રહ્યા હતા ત્યારે મેનહોલમાં મારું બાળક પડી ગયું.'
આ પણ વાંચો: વડોદરા: અણખોલના તલાટીની મનમાનીથી ત્રસ્ત ગ્રામ પંચાયતના સભ્યોની સામુહિક રાજીનામાંની ચિમકી
ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો
દુઃખદ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો. બાળકના દાદીએ રડતા રડતા જણાવ્યું હતું કે, 'અમારો કેદાર તમે અમને શોધી આપો. અમારો કેદાર 5 વાગ્યાનો ગટરમાં જતો રહ્યો છે. અમારા કેદાર ને પાછો લઈ આવો. અમને બીજું કંઈ જોઈતું નથી. બુધવારી ભરાઈ હતી તેથી નણંદ અને ભાભી બંને અહીં આવ્યા હતા. ત્યાર પછી આઈસ્ક્રીમ લીધો અને આઇસ્ક્રીમ ખાતા હતા. કેદારના હાથમાં આઇક્રીમ આપ્યો હતો અને તે દોડીને માતા પાસે જતાં ગટરમાં પડી ગયો. માત્ર તેનું એક બુટ જ અમારા હાથમાં આવ્યું છે.'
ભારે વાહન પસાર થતા મેનહોલનું ઢાંકણું તૂટી ગયું હતું: ચીફ ફાયર ઓફિસર
ચીફ ફાયર ઓફિસર વસંત પારેખે કહ્યું કે, 'મેનહોલનું ઢાકણ ભારે વાહન પસાર થવાને કારણે તૂટી ગયું હતું. તેમાં હાલમાં એક 2 વર્ષનું બાળક પડી ગયું છે. અમે તેની શોધખોળ કરી રહ્યા છે. રેસ્ક્યૂ માટે 60-70 કર્મચારીને તહેનાત કરાયા છે. હાલ કોઈ જાણકારી સામે આવી નથી.'
આમ આદમી પાર્ટીએ મનપાને ગણાવી જવાબદાર
સુરતની ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક બાળક ગટરમાં પડી ગયું હોવાના કલાકો વીતી ગયા હોવા છતાં હજુ બાળક મળ્યું નથી. આ ઘટનાથી તંત્રની કામગીરી પર મોટા સવાલ ઊભા થાય છે. બાળકને જલ્દી શોધવામાં આવે તે માટે તેમના પરિવાર સાથે આજે AAPના કોર્પોરેટરો ધરણાં પર બેઠા છે.