કચ્છમાં વરસાદના માહૌલ વચ્ચે ઉપરાઉપરી 2 ભૂકંપો
દુધઈ પાસે 3.3 ,ખાવડા પંથકમાં 2.6નો આંચકો ફોલ્ટલાઈન સક્રિય થયાનું અનુમાન : કચ્છમાં ગત 12 દિવસમાં જ નોંધપાત્ર તીવ્રતાના 7 ધરતીકંપો નોંધાયા
રાજકોટ, : કચ્છમાં એક બાજુ વરસાદી માહૌલ છે અને આજે સાંજે 4થી 6 દરમિયાન મુંદ્રામાં પોણો ઈંચ સહિત નખત્રાણા, ભચાઉ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે બીજી તરફ આજે સાંજે 4.10 વાગ્યે દુધઈથી 10 કિ.મી.પૂર્વોત્તર દિશામાં 3.3ની તીવ્રતાનો અને સવારે 4.45 વાગ્યે ખાવડાથી 34 કિ.મી. ઉત્તરે 2.6ની તીવ્રતાના એમ ઉપરાઉપરી 2 ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી.
દુધઈ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ 23.365 અક્ષાંસ અને 70.210 રેખાંશ ઉપર જમીનથી 30 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયુ છે જ્યારે અન્ય ભૂકંપનું કેન્દ્રબિંદુ 26.147 અક્ષાંસ અને 69.763 રેખાંશ પર જમીનથી 11.3 કિ.મી. ઉંડાઈએ નોંધાયું છે.
કચ્છમાં ગત 12 દિવસથી ભૂકંપનો સિલસિલો શરૂ થયો છે. આજે બે ભૂકંપ ઉપરાંત હજુ બે દિવસ પહેલા જ તા. 6 જૂને ભચાઉ પંથકમાં 3.1ની તીવ્રતાનો, ગત તા. 3 જૂલાઈએ દુધઈ પંથકમાં 3.0ની તીવ્રતા, તા. 28 જૂને લખપત પંથકમાં 3.4, તા. 26 જૂને ભચાઉ પંથકમાં 2.7 અને આ જ દિવસે ધોળાવીરા પંથકમાં 2.8ની તીવ્રતાનો ધરતીકંપ રાજ્યના સીસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટયુટમાં નોંધાયેલ છે. જેના પરથી કોઈ ફોલ્ટલાઈન સક્રિય થયાનું અનુમાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં અન્યત્ર થતા ભૂકંપો મોટાભાગે જમીનની ઉપરી સપાટીએ ઉદ્ભવતા હોય છે ત્યારે કચ્છમાં અનેક ભૂકંપો જમીનના વધુ ઉંડાઈએ સર્જાય છે.