રાજકોટમાં ચાલુ બાઈકે 15 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલના ડૉક્ટરે મૃત જાહેર કર્યો, પરિવારમાં કલ્પાંત
આ કિશોર હૈદરાબાદથી દિવાળીની રજામાં પરિવાર સાથે તહેવારો મનાવવા આવ્યો હતો રાજકોટ
Rajkot Heart Attack Death : રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત ચિંતા વધારી રહ્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. એવામાં આજે રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. એક 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
રાજકોટમાં 15 વર્ષીય કિશોરનું હાર્ટ અટેકથી મોત
રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. એવામાં રાજકોટમાં પૂજન નામનો આ કિશોર તેમના પિતાના બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે અચાનક હાર્ટ અટેક ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. 15 વર્ષીય કિશોરનું અચાનક હાર્ટ અટેકથી મોત થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ કિશોર રાજકોટની શ્રદ્ધા સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. તે હૈદરાબાદમાં અભ્યાસ કરતો હતો અને દિવાળીની રજામાં પરિવાર સાથે તહેવારો મનાવવા માટે રાજકોટ આવ્યો હતો. જો કે આ સમયે આધાતજનક બનાવ બનતા પરિવારમાં કલ્પાંતનો માહોલ સર્જાયો હતો.
હાર્ટએટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકાનો જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને યુવા વયે હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બિનસત્તાવાર અહેવાલ અનુસાર તાજેતરમાં નવરાત્રિ દરમિયાન જ 24થી વધુ લોકોએ ગરબા કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાથી જીવ ગુમાવ્યો હતો. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું કે, ‘હાર્ટ એટેકના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટએટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકાનો જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. વધતા જતા કેસને મામલે સરકાર દ્વારા મૂળમાં જઇને તપાસ થવી જોઇએ. જરૂર પડે તો હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કવામાં આવે તે જરૂરી છે.