ગુજરાતમાં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઈ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 108 ટકા વરસાદ,  49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઈ 1 - image


Gujarat Rain Financial Help: 25થી 30 ઑગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઈ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલની હાનિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ત્યારે આજે રાહત કમિશ્નર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતાં ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25થી 30 ઑગસ્ટ) 30 ટકા જેટલા વરસાદથી 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચૂકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.

8 કરોડની વધુની કેશડોલ્સની ચૂકવણી

રાહત કમિશ્નર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લામાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં 3 સપ્ટેમ્બર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જેમાં 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ્સ ચૂકવાઈ હતી. આ ઉપરાંત 11 પરિવારને 50 હજારની ઘરવખરી અપાઈ હતી.’

ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. જો કે ફક્ત બે-ત્રણ લોકોને સહાય ચૂકવવાની બાકી છે, જેમને આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવશે. 

પશુના મોત અને મકાન સહાય માટે 367 કરોડ ચૂકવ્યા

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક કાચા-પાકા મકાનો અને ઝૂંપડાં તૂટી ગયા હતા, તેમજ રાજ્યમાં 2618 પશુઓના મોત થયા હતા. જે માટે 367 કરોડ સહાય પેટે ચૂકાવવામાં આવ્યા છે. આ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, ઍરફૉર્સ અને આર્મીની 9 કોલમની મદદથી 43,083 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, જ્યારે 37,050 લોકોને બચાવાયા હતા. આ દરમિયાન 53 વ્યક્તિને ઍરલિફ્ટ પણ કરાઈ હતી.  

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લામાં સરવેની કામગીરી ચાલી રહી છે. હવે પીડિત પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર ઘરવખરી-કપડાંની સહાય તેમજ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘરને નુકસાનની ઘટનામાં આર્થિક મદદ કરતું રહેશે.  



Google NewsGoogle News