ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000ની થઈ આવક

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Ambaji


Ambaji Melo Updates: ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરુવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર રથની શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીના રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાંની સાથે જ 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. મેળાના પ્રથમ દિવસે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો ઉમટયા હતા અને જગત જનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સેવા કેમ્પો પદયાત્રીઓથી ધમધમી ઉઠયા

ગુજરાતના મોટા મેળા પૈકી બનાસકાંઠા જિલ્લાના અંબાજીના મહામેળાનો તેમાં સમાવેશ થાય છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભરાતાં સાત દિવસીય મહામેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. ભક્તિ, શક્તિ અને ઉપાસનાના સંગમ સમા આ મેળામાં આ વર્ષે આશરે ૩૦ લાખ જેટલા ભક્તો ઉમટવાનો અંદાજ છે. વરસતા વરસાદ અને ડુંગરાળ વિસ્તારમાં મા અંબાના નાદ સાથે પદયાત્રા કરી આગળ ધપવાની પરંપરા આ મેળાની ખાસિયત છે. ત્યારે ગુરુવાર અને ભાદરવા સુદ નોમના દિવસથી આ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ

ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000ની થઈ આવક 2 - image

બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અંબાજીના દાંતા રોડ ઉપર શાસ્ત્રોક વિધિ સાથે મા અંબાના રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ તથા સામજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે મેળાનો પ્રારંભ કરાવતાં નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે. ત્યારે કલેક્ટરે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી. 

ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000ની થઈ આવક 3 - image

ગુરુવારે 1.95 લાખ ભાવિક ભક્તો ઉમટી પડ્યા

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઈભક્તોને કષ્ટ ના પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે મેળાના પ્રથમ દિવસે ગુરુવારે આશરે 1.95 લાખ જેટલા માઈભક્તો અંબાજીમાં ઉમટ્યા હતા. મંદિર પરિરસમાં દર્શન માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાતાં ભક્તોએ સરળતાથી મા અંબાનાં દર્શન કર્યાં હતાં.

ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000ની થઈ આવક 4 - image

અરવલ્લીની ગિરિમાળા જીવંત બની

અંબાજીને જોડતાં રસ્તા અરવલ્લીની ગિરિમાળાની વચ્ચેથી પસાર થાય છે. સાથે સાથે યાત્રાધામ અંબાજી અને દાંતા વિસ્તાર પણ ડુંગરાળ વિસ્તારમાં આવેલો છે. ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થતાં જ પદયાત્રીઓની ચહલ પહલથી ગિરિમાળાઓ દીપી ઉઠી અને જીવંત બની છે. ચઢાણ ઉતારવાળા ડુંગરાળ રોડ ઉપરથી માઈભક્તો કઠિન પદયાત્રા કરી અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મેળામાં આંગળીના ટેરવે મળશે તમામ સુવિધાઓ, મોબાઇલ બનશે માર્ગદર્શક

મંદિર શિખર ઉપર ભક્તોએ ધજા ચઢાવી

ગુરુવારે સવારે 9 અને 15 મિનિટે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો હતો. અનેક પગપાળા સંઘો દ્વારા સવારથી જ માતાજીના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. ભક્તોને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે પણ આયોજન કરાયું હતું.

ભાદરવી પૂનમના મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા: 80,00,000ની થઈ આવક 5 - image


Google NewsGoogle News