ચૂંટણી તંત્રે ફાઈનલ આંકડા જાહેર કર્યા : 3 ન.પા.ની ચૂંટણીમાં 0.11 ટકા મતદાન ઘટયું
- સિહોરમાં 61.05, ગારિયાધારમાં 56.77 અને તળાજામાં 57.30 ટકા મતદાન થયું
- મનપા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાનના આંકડા યથાવત, કોઈ વધારો-ઘટાડો નહીં
ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ગઈકાલે અંદાજીત ૫૯.૦૬ ટકા મતદાન થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, વોટનું ફાઈનલ કાઉન્ટીંગ મોડે સુધી થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્રે આજે સોમવારે મતદાનના ફાઈનલ આંકડા જાહેર કર્યા છે. જેમાં ૦.૧૧ ટકાના ઘટાડા સાથે ત્રણેય ન.પા.માં સરેરાશ ૫૯.૦૬ ટકા મતદાન થયાનું જાહેર કરાયું છે. જ્યારે ભાવનગર મહાપાલિકાના વોર્ડ નં.૩ની ચૂંટણીમાં ૩૩.૫૧ ટકા અને ત્રણ તાલુકા પંચાયતની પાંચ બેઠકમાં સરેરાશ ૩૧.૦૪ ટકા મતદાન નોંધાયાનું સત્તાવાર રીતે જણાવાયું છે.સિહોર નગરપાલિકામાં અંતિમ મતદાન ૬૧.૦૫ ટકા થયું છે. ગારિયાધાર નગરપાલિકામાં ૫૬.૭૭ ટકા અને તળાજા પાલિકાની ચૂંટણીમાં ૫૭.૩૦ ટકા આખરી મતદાનના આંકડા જાહેર કરાયા છે.
જ્યારે તાલુકા પંચાયતોમાં તળાજાની ઉંચડીછ બેઠકમાં ૨૭.૮૬, નવા-જૂના રાજપરા સીટ પર ૧૭.૧૫ ટકા, ભાવનગર (ગ્રામ્ય)ની લાખણકા બેઠક પર ૩૯.૬૦ ટકા, સિહોરની વળાવડ બેઠક પર ૩૭.૫૯ અને સોનગઢ સીટ પર ૩૬.૪૮ ટકા મતદાન થયું છે. ભાવનગર મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં માત્ર ૩૩.૫૧ ટકા સુધી જ મતદાનનો આંકડો પહોંચી શક્યો છે.
બોટાદ : અંદાજીત ટકાવારી જેટલો જ મતદાનનો આંકડો રહ્યો
બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લા પંચાયતની પાળિયાદ બેઠક પર માત્ર ૦૧ ટકા મતદાનનો આંકડો ઘટીને ૩૩.૨૩ ટકા રહ્યો હતો. જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ૩૧.૧૭ ટકા તેમજ ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ગઈકાલે જે અંદાજીત મતદાનનો આંકડો જાહેર કરાયો હતો. તે જ આંકડો ૬૧.૫૪ ટકા રહ્યો છે. જ્યારે રાણપુર તાલુકા પંચાયતની માલણપુર બેઠક પર પણ મતદાનનો આંકડો ૩૪.૬૪ ટકા જ રહ્યો છે.