ન્હાનાલાલે ગુજરાતી સાહિત્યને ઉત્તમ ઉર્મિકાવ્યો અને રાસગીતોની ભેટ આપી છે
ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ ઉર્મિકાવ્યના કવિ એટલે કવિ ન્હાનાલાલ. ન્હાનાલાલે સમગ્ર જીવન દરમિયાન કવિતાની સતત આરાધના કરતા રહ્યા હતા. ન્હાનાલાલની જન્મજયંતી પ્રસંગે ગઇકાલે સાંજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં 'ન્હાનાલાલની કવિતામાં કલ્પનાવૈભવ' વિશે યોગેશ જોશીનું વક્તવ્ય તેમજ અમર ભટ્ટ દ્વારા ન્હાનાલાલના કાવ્ય પંકિતઓની સંગીતમય સુંદર રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં કુમારપાળ દેસાઇ અને ચંન્દ્રકાન્ત શેઠ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યાં હતા. 'ન્હાનાલાલની કવિતામાં કલ્પનાવૈભવ' વિશે જાણીતા કવિ યોગેશ જોશીએ કહ્યું કે, ગુજરાતી સાહિત્યમાં કોઇપણ પુરોગામી કે અનુગામીને હંફાવી તેટલી વિપુલ અને મહાકવિ ન્હાનાલાલ છે. ન્હાનાલાલના કાવ્યોમાં જે વિશિષ્ટ અને ભવ્ય કલ્પનો મળે છે ન્હાનાલાલ પાસેથી ગુજરાતી કવિતાને વિરાટનો હિંડોળો,ધૂમકેતુનું ગીત, મહિડા, શરદ પૂનમ, તાજમહેલ, સોણલાં, હરિનાં દર્શન જેવાં ચિરંજીવી કાવ્યો ગુજરાતી ભાષાને આપ્યાં છે. વધુમાં કુમારપાળ દેસાઇએ કહ્યું કે, કવિ ન્હાનાલાલનું ગુજરાતી સાહિત્યમાં આગવું પ્રદાન રહ્યું છે. તેઓ આઘાત અને પ્રત્યાઘાત વચ્ચે એમના સાહિત્યસર્જનમાં ઉલ્લાસ અને આનંદનો સ્નેહ વરસાવ્યો છે. કવિ અને વ્યક્તિ તરીકે તેમનું આગવું મહત્વ હતું. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રહેલા ચંન્દ્રકાત શેઠે કહ્યું કે, ગુજરાતી સાહિત્યને ઉત્તમ ઉર્મિકાવ્યો અને રાસગીતોની ભેટ આપી છે. રમ્યતા અને ભવ્યતાનો અનોખો સમન્વય એમની કવિતામાં જોવા મળે છે. ઉપરાતં અમર ભટ્ટે કહ્યું કે, હું નાનો હતો ત્યારે મારા મમ્મી પાસેથી પ્રથમ ગીત શીખ્યો હતો તે, 'વિરાટનો હિંડોળો ઝાકમઝોળ' કવિ ન્હાનાલાલનું હતું. ન્હાનાલાલ મારા પ્રિય કવિ છે અને તેમના કાવ્યોમાં ભવ્યતાનું દર્શન થાય છે.