અથર્વ ભટ્ટ દ્વારા મોહનવીણા વાદન અને કોલકતાના સંગીતજ્ઞાો દ્વારા શ્રોતાગણને વિવિધ રાગનું રસપાન
સપ્તકની 'સંગીત સંકલ્પ સમારોહ' માં જયપુર અને કલકત્તાના કલાકારોએ સભાને સંગીતમય બનાવી હતી
સપ્તકની 'સંગીત સંકલ્પ સમારોહ'ની બીજી અને ત્રીજી રાત્રિએ જયપુર અને કલકત્તાથી આવેલ કલાકારોએ પોતાના સૂર રેલાવી સભાને સંગીતમય બનાવી હતી. સભામાં ઉપસ્થિત શ્રોતાઓ જાણે કલાકારોના સૂરમાં બંધાઈ ગયા હોય તેવો ભાસ થતો હતો. શરદ પૂનમની રાત્રિએ સભાગૃહની બહાર ચંદ્રએ અને સભાગૃહની અંદર કલાકારોએ અજવાસ પાથર્યો હતો. સભાની શરૂઆતમાં રૉઈશ સાલવી દ્વારા તબલાં પર રૂપક તાલ પ્રસ્તુત કરવામાં આવ્યો.
અથર્વએ જોગ રાગમાં જોડ આલાપનું વાદન કર્યું
બીજી રાત્રિ એટલે કે શનિવારે સભાની શરૂઆત એક અનોખા સંયોગથી થઈ. પ્રથમ કલાકાર અથર્વ ભટ્ટ કે જેઓ જયપુરથી પધાર્યા હતા. તેઓ ગ્રેમી વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ પૌત્ર છે. અથર્વની સાથે તબલાં પર સંગત આપવા હિમાંશુ મહંત વડોદરાથી પધાર્યા હતા. અથર્વએ મોહનવીણા પર જોગ રાગમાં જોડ આલાપનું વાદન કરી શ્રોતાઓને પોતાની કલા સાથે જોડી દીધા હતા.
કોલકાતાથી પધારેલા મનાલી બોઝે રાગ 'બાગેશ્રી' રજૂ કર્યો
સભાના બીજા કલાકાર પૂર્વથી પોતાના સૂર લઇને પશ્ચિમના શ્રોતાઓ સામે ઉપસ્થિત થયા હતા.કલકત્તાથી પધારેલા મનાલી બોઝે પોતાના સૂમધુર સ્વરમાં રાગ બાગેશ્રી રજૂ કર્યો હતો. સભાગૃહમાં જ્યારે તેમણે પોતાના સૂર રેલાવ્યા ત્યારે શ્રોતાઓ તેમના સૂરમાં ઓતપ્રોત થઈ ગયા હતા.તેમને હેમંત જોશી દ્વારા તબલા પર અને નિલય સાલવી દ્વારા હાર્મોનિયમ પર સંગત આપવામાં આવી હતી.
સ્વામી કૃપાકરાનંદે રાગ 'ગોરખ કલ્યાણ'ની પ્રસ્તુતિ કરી
ઈટાનગરથી પધારેલા સ્વામી કૃપાકરાનંદ જ્યારે મંચસ્થ થયા ત્યારે સમગ્ર સભાગૃહ ધન્યતા અનુભવી રહ્યો હતો. તેમણે રાગ ગોરખ કલ્યાણ અને રાગ નાયકી કાન્હડા રજૂ કરી શ્રોતાઓને પોતાના સૂરોમાં લીન કરી દીધા હતા. તેમને સંગત આપવા તબલાં પર બિમલ ભટ્ટાચાર્ય, હાર્મોનિયમ પર રાજુ ગાંધર્વ અને તાનપુરા પર તપન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તેમણે ભજન દ્વારા બેઠકની ત્રીજી રાત્રિની પૂર્ણાહુતિ કરી હતી.
સાયરી દત્તા દ્વારા રાગ 'રાગેશ્રી' રજૂ કરાયો
સભાને મંત્રમુગ્ધ કરવા માટે બીજા કલાકાર કલકત્તાથી પધાર્યા હતા. સ્વરમંચ પર સાયરી દત્તાએ રાગ રાગેશ્રી પ્રસ્તુત કરી સભાને સંગીતમય બનાવી હતી. તેમને તબલાં પર જાજ્વલ્યા શુક્લા અને હાર્મોનિયમ પર તેજસ સોની દ્વારા સંગત આપવામાં આવી હતી.