લૂઈસ ક્હાન સાથે કામ કરવા માટે રૂપિયા 400નું મહેનતાણું છોડી અમદાવાદ આવ્યો
આર્કિટેક્ટ એ.વી. જોશીએ ઓટોબાયોગ્રાફી લોન્ચ કાર્યક્રમમાં પોતાના જીવનના કિસ્સાઓ વર્ણવ્યાં
આજે બધા લોકો પોતાને મનુષ્ય તરીકે ઓળખાવાની જગ્યાએ પોતાના પ્રોફેશનથી ઓળખાવાનું પસંદ કરે છે. પરંતુ પ્રોફેશન કે વ્યવસાયથી ઓળખાવા કરતા મનુષ્ય બનવું જરૃરી છે. તેમ પોતાની ઓટોબાયોગ્રાફી લોન્ચ કાર્યક્રમમાં આર્કિટેક્ટ એ.વી. જોશીએ કહ્યું હતું. કાર્યક્રમમાં તેઓએ પોતાના જીવનના કેટલાક કિસ્સાઓ વાગોળતા કહ્યું કે, મારુ મેટ્રીક સુધીનું એજ્યુકેશન એમ.એસ.એમ. હાઇસ્કૂલ ભદ્રમાં થયું હતું.
ત્યારબાદ આર્કિટેક્ટના અભ્યાસ માટે મુંબઇ ગયો અને આર્કિટેક્ટ તરીકે કામની શરૃઆત મારા ઘરથી કરી હતી. પુણેમાં મારા પિતા ઘર બનાવી રહ્યાં હતા, તેની ડિઝાઇન મે તૈયાર કરી હતી. ઘરની ડિઝાઇન બનાવવા માટે પિતા જોડે ઝઘડો પણ થયો હતો. કારણ કે, તેમને મારા પર વિશ્વાસ નહોતો. ત્યારબાદ રૃકરીમાં કામ કર્યું અને જ્યારે અમદાવાદમાં આઇઆઇએમનું કામ લૂઈસ ક્હાનને સોંપવામાં આવ્યું, ત્યારથી મારી ઇચ્છા તેમની સાથે કામ કરવાની હતી. જે એનઆઇડી દ્વારા મળી હતી, પરંતુ મારે રૃકરીના ૪૦૦ રૃપિયાના મહેનતાણાને છેડીને એનઆઇડીના ૩૦૦ રૃપિયાના મહેનતાણામાં કામ કરવાનું હતું. પરંતુ લૂઈસ ક્હાન સાથે કામ કરવાની પ્રબળ ઇચ્છા હોવાથી મેં આ તક સ્વિકારી હતી.
પોતાની પ્રેક્ટિસ માટે બીજી વખત લૂઈસ ક્હાન સાથે કામ કરવાની તક જતી કરી
એનઆઇડી સાથે થયેલા પાંચ વર્ષના કરાર દ્વારા આર્કિટેક્ટ એ.વી. જોશીએ લૂઈસ ક્હાન સાથે કામ કરવી ઇચ્છા પૂર્ણ કરી હતી. પરંતુ જ્યારે તેમનો પાંચ વર્ષનો કરાર પુરો થવા આવ્યો ત્યારે ફરીથી એનઆઇડી તરફથી નવા કરાર સાથે લૂઈસ ક્હાન સાથે કામ કરવાની તક આપી હતી. પરંતુ પોતાની પ્રેક્ટિસ શરૃ કરવા માગતા એ.વી. જોશીએ ઓફરનો અસ્વિકાર કર્યો હતો.
એક સમયે પ્યુનને ચૂકવવા માટે પણ રુપિયા નહોતા
૧૯૭૮માં આવેલા ક્રાઇસિસના કારણે મારી પાસે પ્યુન રાખવાના પણ પૈસા રહ્યા નહોતા. માર્ચ સુધીમાં મારી પાસેથી મારી ઓફીસ પણ જતી રહી હતી. પરંતુ મેં હિંમત હારી ન હતી. ઉપરાંત મારા કામમાં મારી પત્ની પણ મદદ કરતી હતી. થોડા સમયમાં લોકોએ મારા કામને ઓળખ આપીને મારામાં વિશ્વાસ મુક્યો હતો. જેના કારણે પરિસ્થિતિમાં સુધાર આવ્યો હતો, જે મારા માટે નવી શરૃઆત હતી. - એ.વી. જોશી, આર્કિટેક્ટ