નેશનલ એવોર્ડ વિજેતા દિગ્ગજ અભિનેત્રીનું નિધન, 300થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ
Veteran actress Anjana Rahman passes away : નવા વર્ષની શરૂઆતમાં મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી અંજના રહેમાનનું 60 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ મનોરંજન ક્ષેત્રે શોકનું મોજુ ફરી વળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજના રહેમાનનું શુક્રવારે મધરાતે એટલે કે લગભગ 1 વાગ્યે નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી અને બાંગ્લાદેશના ઢાકાની બંગબંધુ શેખ મુજીબ યુનિવર્સિટી હોસ્પિટલ (MSMMU)માં તેની સારવાર ચાલી રહી હતી. અભિનેત્રી મોટાભાગે તેના અંગત જીવનના કારણે ચર્ચામાં રહી હતી.
સારવાર દરમિયાન થયું મૃત્યુ
ઘણાં દિવસોથી અંજના રહેમાન બીમાર ચાલી રહી હતી. તેને પહેલા હળવો તાવ આવ્યો હતો અને પછી તેને બ્લડ ઇન્ફેક્શન થયું હતું. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. તેથી 1 જાન્યુઆરીએ તેમને MSMMUમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાં તબીબોની ટીમે તેની સારવાર કરી હતી પરંતુ તેની તબિયત વધુ બગડતાં તેને વેન્ટિલેટર પર ખસેડવા પડ્યા હતા. પરંતુ તે જીવનની લડાઈ હારી ગઈ હતી અને તેનું અવસાન થયું હતું. આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ મીશા સવદાગોરે પ્રોથોમ આલોએ અંજનાના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
300થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અંજના
અભિનેત્રી અંજના રહેમાને પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અંજનાએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અંજનાએ 'પરિણીતા' ફિલ્મમાં લોલિતાની ભૂમિકા ભજવી હતી. આ માટે તેને બાંગ્લાદેશના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. અંજનાએ બાંગ્લાદેશી ફિલ્મો ઉપરાંત શ્રીલંકન, પાકિસ્તાની, નેપાળી અને તુર્કી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે મિથુન ચક્રવર્તી સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
લગ્ન પછી ઇસ્લામ ધર્મ અપનાવી લીધો
અહીં તમને જણાવી દઈએ કે અંજના રહેમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. પરંતુ તેમના લગ્ન એક મુસ્લિમ નિર્માતા અને દિગ્દર્શક અઝીઝુર રહેમાન બુલી સાથે થયા હતા. લગ્ન પહેલા અંજના રહેમાનનું આખું નામ અંજના સાહા હતું. પરંતુ મુસ્લિમ સાથે લગ્ન કર્યા બાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.