Parineet-Raghav Wedding: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો સામે આવી
- કપલે ઉદયપુરના લીલા પેલેસમાં નજીકના મિત્રો અને સબંધીઓની હાજરીમાં સાત ફેરા લીધા હતા
મુંબઈ, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ગઈ કાલે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન ઉદયપુરમાં રજવાડી ઠાઠા અને ધામધુમથી સંપન્ન થયા હતા. કપલે ઉદયપુરના લીલા પેલેસમાં નજીકના મિત્રો અને સબંધીઓની હાજરીમાં સાત ફેરા લીધા હતા. ત્યારે ચાહકો પરિણીતીને દુલ્હનના લુકમાં જોવા માટે ખૂબ જ આતુર હતા. જોકે, તેમની આતુરતાનો હવે અંત આવી ગયો છે. એક્ટ્રેસે પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસનું બ્રાઈડલ લુક જોવા જેવું લાગી રહ્યું છે.
આ ફોટો શેર કરતા પરિણીતિએ રાઘવ સાથેની પોતાની લવ સ્ટોરીની મેમોરી પણ કેપ્શનમાં શેર કરી છે. પોતાની લાઈફના ખૂબ જ મહત્વના દિવસના ફોટો શેર કરતા પરિણિતીએ લખ્યું કે, 'બ્રેકફાસ્ટ ટેબર પર પ્રથમ ચેટથી અમારા દિલને એકબીજાની ફિલિંગ વિશે ખબર જ હતી. આ દિવસની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી...મિસ્ટર અને મિસિસ બનીને ખૂબ ગર્વ અનુભવી રહી છું.
પરિણિતી-રાઘવના લગ્નમાં આમ આદમી પાર્ટીમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભાગવત માન, શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ ઉપરાંત પરિણિતીની બહેનપણી સાનિયા મિર્ઝા અને ક્રિકેટર હરભજન સિંહ તથા તેની પત્ની ગીતા બસરા સહિતની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજર રહ્યા હતા.