દિગ્ગજ અભિનેત્રીના ઘરને સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો મળ્યો, હવે તોડી પાડવામાં નહીં આવે
Updated: Jun 29th, 2024
Marilyn Monroe: પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રી અને મોડલ મેરિલીન મનરો ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ તેની યાદો આજે પણ તેના ચાહકોના મનમાં જીવંત છે અને તેઓ તેને અવાર-નવાર યાદ કરતા રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રી તેણે અંતિમ શ્વાસ જે ઘરમાં લીધા તેને લઈને ચર્ચામાં છે. મનરોના એ ઘરને હવે સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપવાની મંજૂરી મળી છે.
અભિનેત્રીનું ઘર તૂટીની કગાર પર હતું
બુધવારે લોસ એન્જલસ સિટી કાઉન્સિલ દ્વારા મનરોના લોસ એન્જલસના ઐતિહાસિક ઘરને તૂટવાથી બચાવવાના હેતુથી સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ ઘર બ્રિના મિલ્સ્ટી, તેના પતિ, રિયાલિટી ટીવી નિર્માતા રોય બેંક્સ દ્વારા ગયા વર્ષે રૂ. 69 કરોડ 72 લાખમાં ખરીદ્યું હતું, જેને તેઓ તોડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ હવે તેને ઐતિહાસિક સ્મારક નામ આપવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપવાની તરફેણમાં 12 મત પડ્યા
એલ.એ. ધ કન્ઝર્વન્સીએ X પર લખ્યું, 'બ્રેન્ટવૂડમાં મેરિલીન મનરોનું ઘર હવે એક ઐતિહાસિક - સાંસ્કૃતિક સ્મારક છે. આજે, એલ.એ. સિટી કાઉન્સિલે સર્વાનુમતે મેરિલીન મનરોના અંતિમ ઘર માટે નોમિનેશનને મંજૂરી આપી હતી. તેમનો ટેકો વ્યક્ત કરનાર દરેકનો આભાર અને કાઉનિસિલવુમન ટ્રેસી પાર્ક અને ટીમનો ખૂબ ખૂબ આભાર...'
મનરોના ઘરને ઐતિહાસિક દરજ્જો આપવાની તરફેણમાં કાઉન્સિલના કુલ 12 મત પડ્યા હતા. આ નિર્ણયને સિટી કાઉન્સિલની લેન્ડ યુઝ મેનેજમેન્ટ સબ-કમિટી અને કલ્ચરલ હેરિટેજ કમિશન દ્વારા ટેકો મળ્યો હતો.
મનરોએ આ ઘરમાં લીધા હતા અંતિમ શ્વાસ
1929માં મનરો આ 4 બેડરૂમના ઘરમાં 6 મહિના માટે રહી હતી. વર્ષ 1962માં તેનું અવસાન થયું. એલ.એ. ધ કન્ઝર્વન્સીએ આ ઘર માટે સાંસ્કૃતિક દરજ્જાની દરખાસ્ત દરમિયાન જણાવ્યું હતું કે 1962માં જયારે અભિનેત્રી ઇન્ડસ્ટ્રીમાં એક્ટીવ હતી ત્યારે તેણે આ ઘર ખરીદ્યું હતું. મનરોનું આ ઘર 2,624 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. તેને બેવર્લી હિલ્સમાં આવેલા તેના મોટા બંગલા કરતાં આ ઘર પસંદ આવ્યું હતું.
મનરોનું મૃત્યુ હજુ પણ રહસ્ય છે
મનરોની સુંદરતાના આજે પણ વખાણ થાય છે. અમેરિકાની સૌથી લોકપ્રિય સ્ટારનું મૃત્યુ હજુ પણ દુનિયા માટે એક રહસ્ય છે. અહેવાલો અનુસાર, 4 ઓગસ્ટ, 1962ના રોજ 36 વર્ષની વયે તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી.