બ્રાહ્મણોને ટોઈલેટ સમજો છો? એક્ટ્રેસ ગેહના વશિષ્ઠે અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Gehana Vasisth Filed Complaint Against Anurag Kashyap: એક્ટ્રેસ અને મોડેલ ગેહના વશિષ્ઠે સોમવારે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને FIR નોંધવાની માગ કરી છે. ગેહનાએ કહ્યું કે, અનુરાગ કશ્યપે બ્રાહ્મણો અંગે આપેલું નિવેદન ખૂબ જ વાહિયાત છે. શું તમે બ્રાહ્મણોને ટોઈલેટ સમજો છે? ફિલ્મો માટે તમે કંઈ પણ નિવેદન આપી દેશો? શું તમે નશામાં હતા કે આવા નિવેદનો આપી રહ્યા છો? એક્ટ્રેસે આગળ કહ્યું કે, જો આ પ્રકારનું નિવેદન અન્ય કોઈ ધર્મ માટે આપવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં તો ફતવો જારી થઈ ગયો હોત.
બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ ગયા છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તેમની વાંધાજનક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી હોબાળો જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ "વાંધાજનક અને અપમાનજનક" ટિપ્પણી કરવા બદલ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ઉજ્જવલ ગૌડ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. ગૌડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપની ટિપ્પણી માત્ર ઘૃણાસ્પદ અને એશોભનીય જ નહોતી, તે સમાજમાં નફરત ફેલાવનારી, જાહેર શાંતિને ખલેલ પહોંચાડનારી અને સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપનારી હતી.
કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેએ પણ તીખી ટિપ્પણી કરી હતી
કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેએ આ મામલે કહ્યું હતું કે, 'આ નીચ વ્યક્તિ અનુરાગ કશ્યપ એવું વિચારે છે કે હું સમગ્ર બ્રાહ્મણ સમુદાય વિશે ગંદી વાતો કરીને બચી જઈશ? જો તેણે તાત્કાલિક જાહેરમાં માફી ન માગી, તો હું પ્રણ લઉં છું કે તેને ક્યાંય શાંતિ નહીં મળશે. આ ગંદા મોંવાળા વ્યક્તિના નફરતભર્યા શબ્દો હવે સહન નહીં થાય. અમે ચૂપ નહીં રહીએ!' તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો
તમને જણાવી દઈએ કે, અનુરાગ કશ્યપે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 'હું માફી માગુ છું. પરંતુ આ હું મારી પોસ્ટ માટે નહીં પરંતુ એ એક લાઈન માટે માફી માગી રહ્યો છું, જેને ખોટી રીતે લેવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી. કોઈ પણ કાર્યવાહી અથવા સ્પીચ તમારી દીકરી, પરિવાર, મિત્રો અને પ્રિયજનો કરતાં મહત્વની નથી. તેને રેપની ધમકીઓ મળી રહી છે. મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહે છે તે લોકો આ બધું કરી રહ્યા છે. તો જે કંઈ કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું તે પાછું લઈશ પણ નહીં, પરંતુ તમારે ગાળો આપવી હોય તો મને આપો. મારા પરિવારે કંઈ નથી કહ્યું અને તેઓ કંઈ કહેશે પણ નહીં. તો જો તમે મારી પાસેથી માફી માગતા હોવ, તો આ મારી માફી છે. બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો, આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, માત્ર મનુવાદમાં જ નથી. તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો. બાકી, મારા તરફથી માફી.'