અલ્લુ અર્જુનને પકડવા આવેલી પોલીસ જોઈને રડવા લાગી પત્ની, પુષ્પાએ આપી સાંત્વના, જુઓ VIDEO
Allu Arjun Arrested Video: એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ નાસભાગના મામલે શુક્રવારે (13 ડિસેમ્બર) ધરપકડ કરવામાં આવી છે. જોકે, ધરપકડ પહેલાં સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ તેને લેવા આવે ત્યારે અચાનક તેની પત્ની રડવા લાગે છે. ત્યારબાદ પોલીસ સાથે જતાં સમયે એક્ટર પોતાની પત્ની સ્નેહા રેડ્ડીને ચૂપ કરાવી રહ્યો છે. પોતાની પત્ની સાથેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
એક્ટરની ધરપકડ પર રડવા લાગી પત્ની
ધરપકડ પહેલાં સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે પોલીસ એક્ટરના ઘરે આવે છે ત્યારે અલ્લુ અર્જુન પોલીસ સાથે વાતચીત કરી રહ્યો છે. અલ્લુ અર્જુન પોલીસ સાથે પાર્કિંગ એરિયામાં છે. પત્ની સ્નેહા પણ એક્ટર સાથે હાજર છે. ત્યારે પોલીસને જોઈ સ્નેહા એકાએક રડવા લાગે છે. ત્યારબાદ એક્ટર પત્નીને સમજાવે છે અને પત્નીને કિસ કરી તેને આશ્વાસન આપતો જોવા મળે છે. પત્નીને સમજાવ્યા બાદ એક્ટર પોલીસની સાથે ગાડીમાં બેસીને નીકળી જાય છે.
આ પણ વાંચોઃ અભિનેતા અલ્લુ અર્જુન પર BNSની બે કલમ લગાવાઈ, આજીવન કેદ સુધીની છે જોગવાઈ
એક્ટરની ટી-શર્ટ બની ચર્ચાનો વિષય
આ સિવાય એક્ટરની ધરપકડ વખતે તેણે પહેરેલી ટી-શર્ટ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ધરપકડ દરમિયાન અલ્લુ અર્જુનની જે તસવીર સામે આવી, તેમાં એક્ટર હિન્દીમાં 'ફ્લાવર નહીં, ફાયર હૈ મેં' લખેલી ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. ફેન્સને એક્ટરની આ ટી-શર્ટ ખૂબ જ પસંદ આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
4 ડિસેમ્બરે સાઉથ ઈન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મની ચોથી ડિસેમ્બરે હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં યોજાયેલી સ્ક્રીનિંગમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. જેમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતા રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.