આટફિશિયલ ઇન્ટેલિજન્સની ખતરનાક ભ્રમજાળ પર જો સમયસર અંકૂશ નહીં મૂકાય તો...

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
આટફિશિયલ ઇન્ટેલિજન્સની ખતરનાક ભ્રમજાળ પર જો સમયસર અંકૂશ નહીં મૂકાય તો... 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે બોટ તરીકે ઓળખાતી AIની કરામત છે. બોટ આપણા જેવી જ ભાષામાં વાત કરીને સામેના માણસને કન્વિન્સ કરી શકે છે. એક્સ (ટ્વિટર)ના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે!

યુવલ નોઆહ હરારી

યુવલ નોઆહ હરારી એક એવા મેગાસ્ટાર લેખકનું નામ છે, જેમનું પુસ્તક છપાઈને બહાર પડે તે પહેલાં જ જબરદસ્ત ચર્ચામાં આવી જાય છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી માંડીને સત્તર-અઢાર વર્ષના કોલેજિયનો સુધીના સૌ કોઈ યુવલ હરારીના વાચકો ને ચાહકો છે. યુવલ હરારીનાં પુસ્તકોના ૬૫થી વધારે ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યાં છે અને અત્યાર સુધીમાં તેની ટોટલ ચાડાચાર કરોડ નકલો વેચાઈ ચૂકી છે. યુવલનાં નોન-ફિક્શન પુસ્તકોના વિષય ગંભીર હોય, પણ એમની  લેખનશૈલી એવી રસાળ છે કે વાચકને જાણે કોઈ દિલધડક જાસૂસી નવલકથા વાંચી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય.

યુવલ હરારીનું નવું પુસ્તક આવતા મહિને પ્રકાશિત થવાનું છે. એનું ટાઇટલ છે, 'નેક્સસઃ અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન નેટવર્ક્સ ફ્રોમ ધ સ્ટોન એજ ટુ AI'. યુવલે AI એટલે કે આટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ઓલરેડી ખૂબ બધું લખ્યું છે, વકતવ્યો આપ્યાં છે, ઇન્ટરવ્યુઝમાં વાતો કરી છે. શું હશે આ પુસ્તકમાં? યુવલ હરારી કહે છે, 'અત્યારે આપણે માહિતીના પ્રચંડ ઉત્કાંતિયુગમાંથી પસાર થઈ રહ્યા છીએ. માનવજાતના ઇતિહાસમાં માહિતીનો આવો મહાવિસ્ફોટ અગાઉ ક્યારેય નોંધાયો નથી. માહિતીના મહાવિસ્ફોટને સમજતાં પહેલાં આપણે તે જાણવું પડે કે આ બધું આવ્યું છે ક્યાંથી. આપણે આપણી જાતને 'હોમો સેપિઅન્સ' કહીએ છીએ. 'હોમો સેપિઅન્સ' એટલે, સાદી ભાષામાં, ડાહ્યો માણસ, સમજદાર માણસ... પણ માણસ જો ખરેખર એટલો જ સમજદાર હોત તો આપણે આટલી હદે  આત્મઘાતક પ્રવૃત્તિઓ શા માટે કરીએ છીએ? છેલ્લાં એક લાખ વર્ષ દરમિયાન માણસજાતે પુષ્કળ તાકાત એકઠી કરી છે, નવી નવી શોધો કરી છે, અદભુત સિદ્ધિઓ મેળવી છે. આમ છતાંય એવું કેમ બન્યું કે આજે આપણા અસ્તિત્ત્વ સામે ખતરો પેદા થયો છે? આખેઆખી માણસજાતનું નિકંદન નીકળી જાય એવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ ગઈ? પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન તૂટું-તૂટું થઈ રહ્યું છે. એવું શું બન્યું કે આજે આપણે પર્યાવરણ અને ટેકનોલોજીના સ્તરે આત્મહત્યાની ધાર સુધી ધકેલાઈ ગયા છીએ?'

માણસજાતને તાકાત ક્યાંથી મળે છે? એકમેકને સાથસહકાર આપીને, એકબીજાની પડખે ઊભા રહીને, એકમેક સાથે જોડાયેલા રહીને. બીજા શબ્દોમાં કહીએ તો, અસંખ્ય લોકોને આવરી લેતાં વિરાટ નેટવર્ક બનાવીને. આવાં વિરાટકાય નેટવર્ક્સનું સર્જન કેવી રીતે થાય અને તે શી રીતે ટકી રહે? યુવલ હરારી કહે છે, 'કથા-કહાણીઓ, કલ્પનાઓ અને ભ્રાંતિઓ ફેલાવીને. એકવીસમી સદીમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ભ્રાંતિઓનું જબરદસ્ત નેટવર્ક ઘડી કાઢે, તેવું બને. શક્ય છે કે આવનારી પેઢીઓ આ ભ્રમજાળમાં એટલી હદે અટવાઈ જાય કે તેમને ખબર જ ન પડે કે સાચું છે ને ખોટું શું છે, ને તેઓ તે જાણવાની કોશિશ સુધ્ધાં ન કરે...'   

આ, અલબત્ત, વર્સ્ટ-કેસ સિનારીયો યા તો સંભાવના છે. યુવલ હરારીના આગામી પુસ્તક 'નેક્સસ'માં આ જ વિષયને બહેલાવવામાં આવ્યો છે.  થોડા દિવસો પહેલાં યુનાઇટેડ નેશન્સ દ્વારા યુવલ હરારી અને 'ધ અટલાન્ટિક' નામના પ્રતિતિ અમેરિકન મેગેઝિનના સીઈઓ નિકોલસ થોમ્પસન વચ્ચે સંવાદનું આયોજન થયું હતું. આ અફલાતૂન સંવાદમાં યુવલ હરારી કહે છે, 'આપણે એટલે કે માણસો નવાં નવાં સાધનો અને ટેકનોલોજી વાપરવાના મામલામાં પુષ્કળ ભૂલો કરીએ છીએ. બીજા કશાયને નુક્સાન ન થાય તે રીતે જે-તે ટેકનોલોજીથી યોગ્ય રીતે કેવી રીતે વાપરવી તે શીખતાં આપણને ખૂબ વાર લાગે છે. ઔદ્યોગિક ક્રાંતિનું ઉદાહરણ લો. યંત્રોને શી રીતે વાપરવા જોઈતા હતાં તેની આપણને પૂરેપૂરી સમજ પડે તે પહેલાં આપણે ભયંકર ભૂલો કરી ચૂક્યા હતા. સામ્રાજ્યવાદ, નાઝીવાદ, કમ્યુનિઝમ, બબ્બે વિશ્વયુદ્ધ આ બધાનાં મૂળમાં યંત્રોને સાચી રીતે ન વાપરી શકવાની આપણી અણસમજ તો છે. ઘણા લોકો AI રિવોલ્યુશનની સરખામણી ઔદ્યોગિક ક્રાંતિ સાથે કરે છે, પણ હકીકત એ છે કે આપણે ઔદ્યોગિક ક્રાંતિ કરવામાં જે ભૂલો કરી છે એવી ભૂલો જો AI ક્રાંતિમાં કરીશું તો પૃથ્વી પરથી માનવજાતનો સદંતર સફાયો નીકળી જશે. તેથી અગાઉની શોધખોળોનાં સારાં-ખરાબ પાસાં સમજવામાં આપણે જેટલો સમય લીધો છે એટલો સમય આપણને AIના કેસમાં નહીં મળે. આપણી પાસે આ વખતે ભૂલો કરવાનો અવકાશ બહુ જ ઓછો છે.'

પણ હજુ તો AI પા-પા પગલી ભરી રહ્યું છે. ન કરે નારાયણ, પણ AI પાસે ન્યુક્લિયર વોર શરૂ કરાવીને માણસજાતનો ખાત્મો બોલાવી દેવાની તાકાત આવી શકે છેે... પણ આ સ્થિતિ આવતાં હજુ તો બહુ વાર લાગવાની છે, રાઇટ? યુવલ હરારી કહે છે, 'મને નથી લાગતું કે AI હોલિવુડની સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જોવા મળે છે એવું વિશ્વવિનાશક ક્યારેય બનશે, પણ ખતરો આ છેઃ અત્યારે ઘોડિયામાં હિંચકા ખાતા AI પાસે ઓલરેડી એટલી તાકાત આવી ચૂકી છે કે તે આંધાધૂંધી ફેલાવી શકે. સોશિયલ મીડિયાનો દાખલો લો. AIને ઓલરેડી ખબર પડી ગઈ છે કે જો ચોક્કસ પ્રકારના આલ્ગોરિધમની મદદથી લોકો ઉશ્કેરાઈ જાય એવા લખાણ, વીડિયો કે તસવીરોને વધુમાં વધુ ફેલાવવામાં આવે તો જનતાનું ધ્યાન વધારે ખેંચી શકાય છે, તેઓ વધારે સમય સુધી સોશિયલ મીડિયા પર પડયાપાથર્યા રહે છે. માણસના સ્વભાવનું આ પાસું AIએ બરાબર ઓળખી લીધું છે, જેને કારણે દુનિયામાં કેટલાય દેશોમાં સરકારો અને સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસનું ગંદું વાતાવરણ પેદા થઈ ગયું છે. એક્સ (ટ્વિટર), ફેસબુક, યુટયુબ, વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા પર જે પ્રકારનાં નરેટિવ ચાલે છે અને લોકો વચ્ચે જે કક્ષાના સંવાદ થાય છે તે જુઓ. આ કેટલી અફસોસજનક વાત છે કે આપણી પાસે આજે ઇન્ફર્મેશન ટેકનોલોજીનું સૌથી સોફિસ્ટિકેટેડ માધ્યમ છે, પણ લોકો હવે કોઈ મુદ્દે સહમત થઈ શકતા નથી. તેમની વચ્ચે અર્થપૂર્ણ સંવાદ જ થઈ શકતો નથી.'

આજે આપણે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કે કમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ કોઈ જીવતાજાગતા માણસે લખ્યું છે કે તે ચેટબોટ દ્વારા લખાયું છે. ચેટબોટ એટલે એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ, જે આપણા જેવી જ ભાષામાં વાત કરે, તમે જે પૂછો એના વિશે માહિતી આપે, વગેરે. આજકાલ બેન્ક્સ, ઓનલાઇન શોપિંગ માટેની વેબસાઇટ્સ વગેરે ચેટબોટનો ભરપૂર ઉપયોગ કરે છે. આ તો ખેર, ચેટબોટનો સારો ઉપયોગ થયો, પણ આ જ ચેટબોટ (અથવા ટૂંકમાં બોટ)નો ઉપયોગ સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ફેલાવવામાં, લોકો ઉશ્કેરાઈ જાય તેવાં લખાણ-તસવીરો ફેલાવામાં પણ થાય છે. ધારો કે એક્સ (ટ્વિટર) પર હિંદુ-મુસ્લિમ મુદ્દે પોસ્ટ નીચે કમેન્ટ્સમાં ભયંકર ગરમાગરમી જામી હોય ત્યારે તમને ખબર હોતી નથી આમાંની અમુક કમેન્ટ્સ ચેટબોટ દ્વારા જનરેટ થયેલી હોઈ શકે છે. એક અંદાજ પ્રમાણે આજની તારીખે એક્લા એક્સ પર ૨.૨ કરોડથી લઈને ૬.૫ કરોડ જેટલા બોટ્સ એક્ટિવ છે. એક્સના લગભગ પાંચથી ૨૦ ટકા યુઝર્સ આ બોટ 'લોકો' છે! મતલબ કે એક્સ વાપરનારા કરોડો યુઝર્સ માણસ છે જ નહીં, મશીન છે, જે આપણા કરતાંય વધારે અસરકારક ભાષામાં, સામેનો માણસ બિલકુલ કન્વિન્સ થઈ જાય તે રીતે કમ્યુનિકેટ કરી શકે છે. ચેટજીપીટી-ફોર જેવા લાર્જ લેંગ્વેજ મોડલ (એલએલએમ)ને કારણે આ શક્ય બન્યું છે. આ તો ફ્ક્ત એક એક્સની વાત થઈ. ફેસબુક, યુટયુબ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાને ગણતરીમાં લઈએ તો વિચારો કે કુલ બોટ્સનો આંકડો ક્યાં પહોંચતો હશે! આમાંના અમુક બોટ જેન્યુઇન યા તો સર્વિસ બેઝ્ડ હોવાના, પણ અન્ય લાખો-કરોડો બોટનો ઉપયોગ રાજકીય કે અન્ય પ્રકારની વિચારધારાના પ્રચાર માટે, ફેક ન્યુઝ ફેલાવવા, રીટ્વિટ કરવા અને જે-તે પોસ્ટને શેર તથા ફોરવર્ડ કરવા માટે થઈ શકે છે, થાય છે. 

'વાંધો ચેટબોટની સંકલ્પના સામે નથી,' યુવલ હરારી સ્પષ્ટતા કરે છે, 'જેમ કે AI ડોક્ટર (મેડિકલ ક્ષેત્રનો ચેટબોટ) તો આશીર્વાદરૂપ  છે, પણ અહીં આપણને ખબર હોય છે કે હું જેની સાથે ચેટિંગ કરી રહ્યો છું તે હાડમાંસનો બનેલો સાચો ડોક્ટર નથી, પણ એક બોટ છે. ખતરો ત્યારે પેદા થાય છે, જ્યારે બોટની ખરી ઓળખ છુપાવીને તેને અસલી માણસ તરીકે સોશિયલ મીડિયા પર છુટ્ટો મૂકી દેવામાં આવે છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પણ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સામેવાળો અસલી માણસ છે કે AIએ પેદા કરેલો બોટ છે. જે દેશોમાં લોકશાહી છે ત્યાં AIનો આ પ્રકારનો ઉપયોગ કેટલો ખતરનાક થઈ શકે છે તે વિચારો.'

તો શું આવી શેતાની તાકાત ધરાવતા AI પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ? 'ના, એ હવે શક્ય નથી,' યુવલ હરારી કહે છે, 'AIના ડેવલપમેન્ટની સાથે ડિપ્લોયમેન્ટ પર એટલે કે AIને ક્યાં અને કેટલી હદે વાપરવું છે તે નક્કી કરવું જોઈએ. AI વિકસાવવાનું કામ કરતી ઓપનએઆઈ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ ખુદ નિયંત્રણ નહીં જ રાખે, કારણ કે આ તો રેસ છે, સૌને બીજી કંપનીઓ કરતાં આગળ નકળી જવું છે. AI પર કડક નિયંત્રણ રાખવાનું કામ સરકારોનું છે. AI સંબંધિત રેગ્યુલેટરી બોડી બનાવવાનું કામ બને એટલી ત્વરાએ થવું જોઈએ. AIના ડેવલપમેન્ટ માટે જે રકમ ફાળવવામાં આવે છે, એનો કમસે કમ ૨૦ ટકા હિસ્સો સેફ્ટી અને રેગ્યુલેશન પાછળ ખર્ચાવો જોઈએ.' 


Google NewsGoogle News