વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતી માતાનું પર્વ એટલે વસંત પંચમી
કાતિલ ઠંડી ફેલાવતી શિશિરઋતુની વિદાય સાથે વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુ આવતા ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃત્તિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલીઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટાઓમાં મંજરીઓ મહોરી ઉઠે છે. કેસુડાંના ફુલોનું લાલ સૌંદર્ય મનને હરી લે છે. કમળના ફુલોથી સરોવર શોભી ઉઠે છે. અનેક પ્રકારના પુષ્પો વસંતઋતુમાં પૂર્ણપણે ખીલે છે. તેથી વસંતના અનુપમ સૌંદર્યમાં મનમોહક સુગંધ ભળે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર વસંતઋતુમાં પ્રકૃતિનું યૌવન પૂર્ણપણે ખીલી ઉઠે છે. આપણા દેશમાં વસંતઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. એ તહેવારોમાં ચોમેર ઉછળતા અબીલ-ગુલાલમાં જીવનનો આનંદ છલકી ઉઠે છે. ઋતુરાજ વસંતમાં વસંતપંચમીનું અનેરૂ મહત્વ રહ્યું છે. આ દિવસે લોકો મુહુર્ત જોયા વિના લગ્નોની શરૂઆત કરે છે. વસંતપંચમીનું આ પર્વ વિદ્યા અને બુધ્ધિની દેવી સરસ્વતીમાનું પર્વ ગણાયુ છે. આ દિવસે સરસ્વતી દેવીનું પૂજન કરવાનો મહિમા છે. વસંતપંચમી એ મા સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ કહેવાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વસંતપંચમીનો સવિશેષ મહિમા છે. આ પરમ પવિત્ર દિન એટલે શિક્ષાપત્રી, સદ્ગુરૂ બ્રહ્માનંદસ્વામી, સદ્ગુરૂ નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન...
- કિશોર ગજ્જર