ભક્તિ મનનું ભગવાન સાથેનું મિલન
ભક્તિની વ્યાખ્યા શું હોઈ શકે? ભક્તિ એટલે પોતાની જાતને ભગવાનના ધ્યાનમાં પરોવવી. આપણે સૌ આ જાણીએ છીએ. પણ માત્ર પોતાની જાતને ધ્યાનમાં પરોવવાથી આપણે ભગવાનનાં દર્શન ન કરી શકીએ. ભગવાનની સમીપ ન પહોંચી શકીએ.
પોતાની જાતની સાથે પોતાનાં મનને ભગવાનમાં પરોવવું એ ભક્તિની સાર્થકતા છે. પોતાનાં મનમાં સ્વયં પરમાત્મા બિરાજમાન છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ ગીતામાં કહ્યું છે તેમ 'सर्वस्यं चाहं हादसंनिविष्टी' હું દરેકનાં હૃદયમાં બિરાજમાન છું. ભક્તિએ ધ્યાનની અવસ્થા છે. ભગવાનમાં પૂર્ણપણે એકાકાર થવાની અનુંભૂતિ છે. જ્યારે પોતાની જાત સાથે પોતાનું મન પણ ભગવાનનાં રંગે રંગાશે ત્યારે આપણો પોકાર ભગવાન અચુક સાંભળશે. આંખ બંધ કરીને ધ્યાન કરવું પણ ધ્યાનમાં આપણાં ઘરનાં કે આપણાં કામનાં વિચારો ચાલતા હોય તો આપણે હજું મોહમાયાથી અલિપ્ત નથી થયા એવું સમજવું. આપણે સૌ એવું કહીએ છીએ કે, ભગવાન તો ભાવના ભુખ્યા છે. પ્રેમનાં ભુખ્યા છે. સાચી વાત છે. ભગવાન પોતાનાં અંતઃકરણનો ભાવ જુએ છે. જ્યારે આપણે સ્વકંઠે આંખ બંધ કરીને ભગવાનનાં ભજન ગાઈએ ત્યારે તેમાં ભગવાનની છબી દેખાવી જોઈએ. જેમ અર્જુનને માછલીની આંખ સિવાય કંઈ જ દેખાતું ન્હોતું. એમ ભગવાનને પામવા ભગવાનને ભજવા પડે.
આજની ભાગદોડ ભરી જિંદગીમાં જો થોડોક સમય પણ ભગવાનનાં ધ્યાનમાં આપીશું તો એ ભગવાનની ભક્તિ જ છે. સ્વામી દયાનંદજીએ કહ્યું છે કે 'ઈશ્વરનું સ્મરણ એ સર્વરોગોની એકમાત્ર મહાન દવા છે.' મનની કોઈ દવા શોધાઈ નથી મનની ફક્ત એક જ દવા છે અને તે છે 'ઈશ્વર સ્મરણ'. આપણે પોતાનાં રોજિંદા સમયમાં થી થોડોક સમય ઈશ્વરને આપીએ અને આપણું જીવન સુંદર બનાવીએ.
- મિત કે નાંઢા