'શ્રી રામ' અને 'રાવણ'નું સામ્યત્વ અને તફાવત તત્વ
- લંકામાં રામ પણ હતા અને અયોધ્યામાં રાવણ પણ હતો. દશરથનાં પુત્ર રઘુવંશી રામ સિવાય પણ એક રામ એવા હતા કે જે લંકામાં રહેતા હતા અને લંકાનાં નાગરીક હતા
શ્રી રામ અને રાવણ વચ્ચેનું સામ્ય તત્વ પણ છે. અને તફાવત પણ છે. આપણે આ બન્નેનો વિચાર જોઈશું.
રામ અને રાવણનાં સામ્ય તત્ત્વનો વિચાર ચાર વાતોથી કરી શકાય.
૧) બન્ને શિવજીનાં ઉપાસક છે. તેમાંય દશાનન રાવણ તો શિવ નો મહાન ઉપાસક છે. આને શ્રીરામ પણ લંકા સુધી પહોંચવા માટે દરિયા ઉપર જે સેતુબંધ બાંધે છે. ત્યારે સેતુબંધ રામેશ્વર એવા મહાદેવની સ્થાપના કરે છે. અને આ શિવલિંગની સ્થાપનાની શાસ્ત્રોક્ત વિધિ માટે રાવણને જ આમંત્રણ આપે છે. અને રાવણ આ આમંત્રણનો સ્વિકાર કરે છે તે રાવણનાં જુદા વ્યક્તિત્વને જોવા મળે છે.
૨) બીજુ બન્નેનું સામ્યત્વ એ છે કે રામ શક્તિ પૂજા વખતે કમળનું પુષ્પ ખુટી જવાથી દેવીને પોતાનું નૈત્ર કમળ ચડાવે છે અને રાવણ ભગવાન શિવને શીશ કમળ એટલે મસ્તક ચડાવે છે.
૩) રામ અને રાવણ વચ્ચે ત્રીજુ સામ્ય એ છે કે બન્ને એક બીજાનાં નગરમાં વસે છે. લંકામાં રામ પણ હતા અને અયોધ્યામાં રાવણ પણ હતો. દશરથનાં પુત્ર રઘુવંશી રામ સિવાય પણ એક રામ એવા હતા કે જે લંકામાં રહેતા હતા અને લંકાનાં નાગરીક હતા. અને લંકાપતિ દશાનન રાવણ સિવાય એક રાવણ અયોધ્યામાં રહે છે. અને તેની પાસે અયોધ્યાનું નાગરિકત્વ હતું.
૪) ચોથું સામ્ય એવું છે કે લંકામાં રામ અને અયોધ્યાનાં રામ બંન્ને નારી સ્વરૂપે રહેતા હતા જેમકે મંથરા રૂપી સ્ત્રીરૂપે રહેનારી અયોધ્યાની રાવણ હતી અને ત્રિજટા લંકાની રામ હતી. લંકાના રાવણ પાસે રાજનીતિ માટે ઉપયોગી એવા શામ-દામ-દંડ અને ભેદ તમામ તત્વ હતા. જ્યારે અયોધ્યાની રાવણ સ્વરૂપા મંથરા પાસે શામ, દામ અને દંડ નહોતા પરંતુ ભેદ હતો અને એ ભેદ એક માત્ર તત્ત્વ અયોધ્યાની રાજ ગાદીને કેટલી વ્યાપક અસર કરી ગયો તેનું પ્રમાણ 'રામાયણ' છે.
આજ સામ્યત્વની જ જેમ તફાવત પણ એટલો અગત્યનો નોંધનીય છે.
રામ સૂર્યવંશી હતા અને રાવણ ચંદ્રવંશી હતો. એટલે કે નીશીચરવંશી હતો.
રામ સૂર્યવંશી હતા છતાં શ્યામ હતા અને રાવણ ચંદ્રવંશી હતો. છતાં ગૌર વર્ણનો હતો.
રામ રથ વિહિન હતા જ્યારે રાવણ રથી હતો.
રામને બે હાથ હતા અને રાવણને વીસ હાથ હતા.
રામ વિશ્રામી હતા જ્યારે રાવણ પુરૂષાર્થી હતો.
શ્રી રામ સેતુ બાંધે છે જ્યારે રાવણ સેતુ તોડે છે.
રામ પરમાર્થી હતા અને રાવણ પુરૂષાર્થી હતો.
રામ સ્વિકારે છે જ્યારે રાવણ ધુત્કારે છે.
શ્રી રામ તારે છે. જ્યારે રાવણ મારે છે. (માનસ દર્શન ભાગ-૨માંથી)
આ રીતે રામ-રાવણમાં કેટલુંક સામ્યત્વ તથા કેટલુક તફાવત પણ જોવા મળે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે
અમૃતચૈવ મૃત્યુશ્ચા ધ્વયં દેહ પ્રતિષ્ઢિ તમ્ ।
મોહાદાયદ્યતે મૃત્યુ: સત્યેના પદ્યતે અમૃતમ્ ।।
અમરતા અને મૃત્યુ આ બન્ને આ દેહમાં જલસે છે. મોહના પરિણામે મૃત્યુ અને સત્યાચરણથી અમરતા મળે છે.
- ઉમાકાન્ત જે.જોષી