Get The App

શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાજીનું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધિભૂમિ

Updated: Dec 8th, 2021


Google NewsGoogle News
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાજીનું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધિભૂમિ 1 - image


હિંદુ ધર્મને વરેલો ભાગ્યે જ કોઈ માણસ એવો હશે કે જે હિંદુઓનાં પવિત્ર ગ્રંથ ગીતાજી વિશે નહીં જાણતો હોય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ ગીતાજી વિશે થોડું ઘણું તો જાણતો જ હોય છે. ગીતાજીનું ઉદ્ભવ સ્થાન મહાભારતની યુદ્ધિભૂમિ છે અને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનાં સ્વમુખે સંભળાવેલી અને સમજાવેલી છે. જ્યારે મહાભારતનાં યુદ્ધમાં અર્જુનને બહુ વિષાદ થાય છે કે રણભૂમિમાં ઉભેલાં મારા કાકાના દીકરાંઓ કે જેમની સાથે નાનપણમાં રમતાં હતાં, ભિષ્મ પિતામહ કે જેઓ પોતાનાં ખોળામાં બેસાડીને અમોને લાડ લડાવતાં હતાં, ગુરૂ દ્રૌણ કે જેઓએ બાણવિદ્યામાં, યુદ્ધ કળામાં તથા ગદાયુદ્ધમાં પારંગત બનાવ્યા હતા તે બધાંની સામે મારે શસ્ત્રો ચલાવવાના ? આ મારાથી શક્ય બનશે નહીં, આમ કરીને હિંમત હારીને અર્જુન પોતાનું ગાંડીવ બાજુ પર મૂકીને રથમાંથી નીચે ઉતરી જાય છે, તે સમયે અર્જુનને પોરસ ચઢાવવા, તેનો જુસ્સો વધારવા તથા તેનાં સાચાં કર્મ, ધર્મ, કર્તવ્ય તથા ફરજ શું છે, તે વિશે વિસ્તૃત જ્ઞાાન આપવા ભગવાન શ્રીકૃષ્ણે પોતાનાં સ્વમુખે જે શ્લોકોરૂપી સૂરાવલિ અને શબ્દધારા વહાવી હતી અને અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે જ આપણો પવિત્ર ગ્રંથ ગીતાજી છે. ગીતાજીનું આખું નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, પરંતુ ટૂંકાણમાં લોકો ગીતા કે ગીતાજી તરીકે વધારે પ્રમાણમાં ઓળખે છે.

માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીનું જ્ઞાાનરૂપી અમૃત અર્જુનને પિવડાવ્યું હતું અને એનો લાભ આજે પણ આપણે સૌ લઈએ છીએ. તેથી માગસર સુદ એકાદશીને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં તથા વિશ્વનાં અન્ય દેશોમાં ઘણાં બધાં ધર્મગ્રંથોની રચનાઓ થયેલી છે, અરે વેદો તેમજ ઉપનિષદોની પણ રચના થયેલી છે, તેમ છતાં ફક્ત જન્મ જયંતિ તો ગીતાજીની જ ઉજવવામાં આવે છે. આનાં ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ગીતાજી એ કેટલો મહાન અને પવિત્ર ગ્રંથ છે. અન્ય ગ્રંથોની રચનાઓ તો ઋષિ મુનિઓ તથા જ્ઞાાની ધ્યાની વ્યક્તિઓએ કરેલી છે, જ્યારે ગીતાજીની રચના સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી થયેલી છે. બીજું અન્ય ગ્રંથોની રચનાઓ માટે ઋષિ મુનિઓએ શાંત વાતાવરણમાં, નિરાંતે બેસીને, સમજી વિચારીને પોતાનાં ગ્રંથોની રચનાઓ માટે ઋષિ મુનિઓએ શાંત વાતાવરણમાં, નિરાંતે બેસીને સમજી વિચારીને પોતાના ગ્રંથોને આખરી ઓપ આપ્યો હતો, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે તો ભયંકર તનાવની વચ્ચે યુદ્ધભૂમિમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો. યુદ્ધભૂમિમાં ચારેબાજુ મોટા મોટા મહારથીઓ હતાં, તમામ પ્રકારનાં શંખનાદ, રણભેરી, દૂંદૂભિ વગેરેનો ભયંકર શોરબકોર હતો, ઘોડાઓની હણહણાટી તથા હાથીઓની ચિંઘાડથી વાતાવરણ ભયભીત હતું. આટઆટલાં સંકટો તથા વિઘ્નોની વચ્ચે પણ ભગવાન શ્રીકૃષ્ણે માનસિક સમતુલા ગુમાવ્યા વગર, સ્વસ્થ મનથી, શાંત ચિત્તે, કોઈપણ પ્રકારના આવેશ, ઉશ્કેરાટ કે ઉદ્વેગમાં આવ્યા વગર, ધીર ગંભીર બનીને પોતાની જે અસ્ખલિત જ્ઞાાન ગંગા અર્જુન સમક્ષ વહાવી તે ખરેખર કાબિલેતારિફ છે અને એટલે જ આ ગ્રંથ પવિત્ર અને મહાન ગ્રંથ તરીકે ગણનાપાત્ર બન્યો છે અને તેની ગરિમા આજદિન સુધી જળવાઈ રહી છે. ગીતાજીનો સૌથી પહેલો ઉપદેશ એ જ છે કે, ગમે તેવી વિક્ટ કે મુસીબત ભરેલી પરિસ્થિતિમાં ગભરાવું નહીં, હિંમત ના હારવી તથા પોતાનું મન સ્થિર, અડગ તથા શાંત રાખવું.

મૂળ તો ગીતાજી એ મહાભારતનો જ એક ભાગ છે. કહેવાય છે કે યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે કુલ ૭૦૦ અર્થસભર શ્લોકોનો અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે મહર્ષિ વેદ વ્યાસે પોતાની આગવી સૂઝબૂઝ તથા આવડતથી અલગ તારવીને આપણને ગીતાજી નામનાં પવિત્ર અને પાવન ગ્રંથની ભેટ આપી અને એનું નામકરણ ભગવદ્ ગીતા એવું આપ્યું હતું. આજે આખા વિશ્વમાં ગીતાજીનું નામ મશહૂર થઈ ગયું છે અને આખા વિશ્વ પર ગીતાજીનો ઊંડો પ્રભાવ પણ પડયો છે. ગીતાજીમાં કુલ ૧૮ અધ્યાય તથા ૭૦૦ શ્લોકો આવરી લેવાયાં છે.

ગીતાજી માનવજાતને સાચી, સારી તથા સંયમી રીતે જીવન જીવવાની કળા શીખવે છે. બીજા ગ્રંથોની માફક ગીતાજી એ કંઈ વાંચવાનો કે પાઠપૂજા કરવાનો ગ્રંથ નથી. પરંતુ એનો ઉદ્દેશ આપણાં રોજિંદા જીવનમાં તેના શ્લોકોનો અર્થ સમજી, અમલ તથા પાલનકરવાનો છે. ગીતાજીમાં વર્ણવેલાં તમામે તમામ શ્લોકોનું અર્થઘટન, સમજૂતિ, મર્મ તથા હાર્દ શોધી, જ્યાં જરૂર હોય ત્યાં તેનો સદુપયોગ કરવાનો છે. ભારતભરના તમામ રાજ્યોની પ્રાદેશિક ભાષા તથા દુનિયાનાં દેશોની એક પણ ભાષા એવી નથી, કે જેઓએ આ ગીતાજીનો પોતાની ભાષામાં અનુવાદ ન કર્યો હોય. દુનિયાનાં તમામ દેશોએ પોતાની માતૃભાષામાં ગીતાજીનો અનુવાદ કરીને બહોળા પ્રમાણમાં તેનો પ્રચાર તથા પ્રસાર પણ કરેલ છે. દાદા પાંડુરંગ આઠવલે જેવા વિચારવિંદ પ્રવક્તાઓએ પણ ગીતાજી વિશે પોતાનું ઉત્તમોત્તમ પ્રવચન તથા જ્ઞાાન લોકોને પીરસ્યું છે તથા આજે એમના સ્વધામગમન પછી પણ તેમની કેસેટોનાં પ્રવચનનું આયોજન નિયમિત થાય છે. અદાલતો, ન્યાયાલયો તથા કચેરીઓમાં પણ આરોપીને ગીતાજી ઉપર હાથ મુકીને શપથ લેવડાવવામાં આવે છે કે ' હું આ પવિત્ર ગ્રંથના સોગંધ ખાઈને જણાવું છું કે હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય કંઈ ખોટું કહીંશ નહીં. ગીતાજી સિવાય બીજા કોઈ પણ પવિત્ર ધર્મ ગ્રંથ ઉપર આરોપીને હાથ મુકાવવામાં આવતો નથી. આના ઉપરથી પણ આપણને ગીતાજીની મહાનતા અને મહત્તાનો ખ્યાલ આવે છે. વિશ્વની અનેક ભાષાઓમાં જેનો તરજુમો થયેલો છે એવા ગીતાજી તો ભારતભૂમિની વિચારધારાનો અમૂલ્ય વારસો છે. ફક્ત ભારત દેશની જ ભૂમી એવી ભાગ્યવંત છે કે, જ્યાં સ્વયં ભગવાને પોતે વખતોવખત અવતાર ધારણ કરેલ છે તથા ધરતી માતાને પાપીઓથી મુક્ત કરાવી છે. આ ઉપરાંત અર્જુનને પણ ભગવાન શ્રીકૃષ્ણે અભય વચન આપતાં કીધું છે કે ' યદા યદા હિ ધર્મસ્ય ગ્લાર્નિ ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તાદાત્માનં સૃજામ્યમ, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાયે સંભવમિ યુગે યુગે' મતલબ કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું અવતાર ધારણકરૂં છું. સાધુ પુરૂષોનાં રક્ષણ માટે, દુષ્ટોનાં સંહાર માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.

- યોગેશભાઈ આર જોષી

કર્મને લગતો ઉપદેશ

ગીતાજીનો મુખ્ય ઉપદેશ કર્મને લગતો છે. શ્રી કૃષ્ણ ભગવાન અહીં છણાવટ કરે છે કે હે મનુષ્ય તું ફળની આશા રાખ્યા વગર તારું કર્મ કર્યા કર, તું જે કંઈ કર્મ કરીશ તેનું સારૂ કે માઠું ફળ આપવાવાળો હું બેઠો છું, તું એની લગીરેય ચિંતા ન કર.

આત્મા વિષે પણ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણે બહુ સુંદર પ્રકાશ ફેંકેલ છે- નૈનં છિદન્તિ શસ્ત્રાણી, નૈનં દહતિ પાવક, ન ચેનમલેદયન્ત્યાયો ન શોષયતિ મારુત ઃ' અર્થાત્ આત્મા અમર છે, આત્મા તો દિવ્ય છે, આત્મા કદી મરતો નથી. આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી. અગ્નિ બાળી શક્તો નથી. પાણી ભીંજવી શક્તું નથી કે પવન સૂકવી શકતો નથી. આત્મા તો સૂક્ષ્મ શરીર છે જે નરી આંખે કોઈ દેખી શક્તું નથી.

ગીતાજી વિશે ખુદ ભગવાન કૃષ્ણે કહ્યું છે કે ' ગીતા મમ્ હૃદયં પાર્થ' હે પાર્થ આ ગીતા તો મારૂ હૃદય છે. ગીતાજી સિવાય બાકીનાં કોઈ ગ્રંથ વિશે ભગવાને ક્યારેય આવું કહ્યું નથી. જેમ હૃદય વિના જીવી શકાય નહીં તેવી રીતે ગીતાજી વગર જીવન વિતાવી શકાય નહીં એવો ભગવાન શ્રીકૃષ્ણે પાર્થને સંદેશો આપેલ છે.

ગીતાજી એ એક એવું ઉત્તમ ટોનિક છે કે તેના રચયિતા વેદ વ્યાસને લખે સેંકડો વર્ષો થઈ ગયા છતાં ગીતાજી જેવો બીજો ઉત્તમ ગ્રંથ કોઈ રચી શક્યું નથી. સર્વ ગ્રંથો અને સંસ્કૃતિનો રસ તથા નિચોડ આપણને ગીતાજીમાંથી મળી શકે છે.


Google NewsGoogle News