મહાભારત-કુરૂક્ષેત્ર-ધર્મયુદ્ધ .
મહાભારતમાં દુર્યોધન- ભીમના યુદ્ધનું વર્ણન કરતાં વેદવ્યાસ લખે છે : આ ઘોર મહાયુદ્ધમાં બે બળીયા લડી રહ્યા છે. દુર્યોધને દ્રૌપદીની લાજ લૂટવા આહવાન કર્યું હતું. દ્રૌપદી તું હવે મહારાજ્ઞાી નથી. મારી દાસી છે. ચાલ મારી જાંઘ પર બેસી જા. તેમ કરીને પોતાની સાથલ ખુલ્લી કરે છે ત્યારે ભીમે કરેલી પ્રતિજ્ઞા : "દ્રૌપદી થોડી ધીરજ રાખ. આ દુ:ખ દુર્યોધનની જંઘા મારી ગદા વડે ભાંગીશ અને તેના રક્તથી તારા કેશ બાંધજે.
ભીમની આંખો ક્રોધથી રક્તરંજીત બની છે. તેણે પોતાની પ્રતિજ્ઞા પુરી કરી. દુર્યોધનની જંઘા ભાંગી. તેનું મૃત્યુ થયું. તેનું મસ્તક લઈને દૂત મહારાજા ધ્રુતરાષ્ટ્રની સભામાં આવે છે. ધ્રુતરાષ્ટ્ર અંધ છે. તેથી આ મસ્તકને ઓળખી શકતો નથી. સંજયને પૂછ છે : હે સંજય આ શાનું ફળ છે ? સંજય વ્યંગમાં મહારાજાને સમજાવે છે. મહારાજ આ તો વાવેલી વેલનું ફળ છે.
ધ્રુતરાષ્ટ્ર કહે છે મેં તો કદી કોઈ લતા, વેલ કે ફૂલનાં છોડ વાવ્યા નથી, ત્યારે સંજય યાદ કરાવે છે.
કવિની કલ્પના માણવા જેવી છે.
સંજય આ ફળ શેનું હશે એ જાણ્યું નથી જણાતું.
સુતજી કહે સાંભળો ભૂપતિ આ તો વાવેલાંની વાતું.
(આ તમેં વાવેલી વેલનું ફળ છે.)
ધ્રુતરાષ્ટ્ર કહે છે મેં તો વાવ્યું નથી ત્યારે સંજય યાદ કરાવે છે.
આ વૃક્ષનાં બીજ તે દી વવાણાં
જે દી ભીમને ઝેરમાં ભેળવ્યું ભાતું.
(તમેં એ દિવસે પુત્ર મોહમાં જાણતા હોવા છતાં આંખ આડા કાન કર્યા હતા.)
દ્રૌપદીનાં જે દી ચીર ઝુંટાણાં તે દી ફૂલડે ફોરમ થાતું.
લાક્ષાગ્રહમાં લાય લગાવી તે દી'થી વધતું જાતું.
(પાંચ પાંડવો સહિત કુંતીને લાક્ષાગૃહમાં બાળવાનું કપટ કર્યું હતું.)
વિદુર જેવા એ કરાતી વિનંતી વનફળ નો'તું વેરાતું.
રાત-દિન આપની રાજ રમતથી રખોપું એનું થાતું.
(વિદુરજીની વાત આપે કાને ધરી નહીં.)
કૃષ્ણ કવાડો લઈ કાપવા આવ્યા, કાપ્યું તો' તું કપાતું.
આ એનું ફળ સામ આવ્યું. વિધિના લેખની વાતું.
(આ રીતે સંજય મહારાજ ધ્રુતરાષ્ટ્રને દુર્યોધનના મોતનાં કારણો સમજાવે છે.) 'જેવી કરણી તેવી ભરણી' સુત્ર અહીં સાકાર થાય છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય