મહાભારતના લહિયા ગણેશજી .

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મહાભારતના લહિયા ગણેશજી                            . 1 - image


- જે મહાભારત ગ્રંથમાં છે તે બધે જ છે. જે મહાભારત ગ્રંથમાં નથી તે બીજે ક્યાંય નથી. પણ ભગવાન ગણેશજી જો ન હોત તો આપણને મહાભારત ગ્રંથ પ્રાપ્ત ન થયો હોત.

આપણી સનાતની પરંપરામાં ગણેશજીની ઉપાસનાનું અનન્ય મહત્વ છે. પાંચ તત્વો છે. - આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. જેમાં પૃથ્વી તત્વના જો કોઈ દેવ હોય તો એ ગણેશજી છે. આજે જ વિષય પર વાત કરવી છે તે મહાભારતના લહિયા તરીકે ગણેશજી હતા અને તેઓ કેવી રીતે સ્થાપિત થતાં તેની કથા માહિતી આપણે મેળવીએ.

એક વખત મહર્ષિ વેદવ્યાસજી સન્મુખ બ્રહ્માજીનું પ્રાગટય થયું. બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસજીને કહ્યું કે, ''તમે એવા ગ્રંથની રચના કરો કે જેમાં સમગ્ર વેદોનો તથા શાસ્ત્રોનો સાર સમાવિષ્ટ થઈ જાય.'' ત્યારે વેદવ્યાસજીએ ધ્યાનમગ્ન થઈ ઘણી તપસ્યા કર્યા કરી અને પછી એક જ્ઞાાન ગ્રંથની રચના કરવાની ઈચ્છા તેમને થઈ. તેઓ મનોમન ચિંતન-વિચાર કરવા લગ્યા કે, ''મેં એક શ્રેષ્ઠ ગ્રંથ વિચાર્યો છે અને તેનું નામ છે મહાભારત. આ મહાભારત ગ્રંથની રચના કરવાની મારી ઈચ્છા છે. આ ગ્રંથમાં વેદોનો સાર સમાવિષ્ટ થઈ જશે પણ મારી મતિ કુંઠિત થઈ છે. હું શું કરું ? અને આ વિશાળ ગ્રંથના જ્ઞાાનને લિપીબદ્ધ કઈ રીતે કરું ? મહર્ષિ વેદવ્યાસજીને આમ ચિંતન કરતા મુંઝવણ થઈ. ત્યારે બ્રહ્માજીએ મહર્ષિની લોકકલ્યાણની ભાવના જોઈ ભગવાન વેદવ્યાસજી સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે, ''કાવ્યસ્ય લેખનાર્થાય ગણેશ: સ્મર્યતાં મુને.'' અર્થાત્ ''તમે ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને ભગવાન ગણેશ લહિયા બને તો તમે આ કાર્ય નિર્વિધ્ને સંપન્ન કરી શકરો.''

ભગવાન વેદવ્યાસજીએ ગણેશજીનું સ્મરણ કર્યું અને ભક્તવત્સલ ગણેશજીનું પ્રાગટય થયું ત્યારે ભગવાન ગણેશજીએ વેદવ્યાસજીને કહ્યું કે, ''હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું, તમે કંઈક માંગો.'' ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે, ''લેખકો ભારતસ્યાસ્ય ભવ ત્ત્વં ગણનાયક, મયૈવ પ્રચ્યમાનસ્ય મનસા કલપ્તિસ્યચ.'' અર્થાત્, મારે ''જય સંહિતા'' કહેતાં ''મહાભારત'' ગ્રંથ રચવાની ઈચ્છા છે. આ ગ્રંથમાં કુશળ લહિયા તરીકેની જે ભૂમિકા છે તે આપ નિભાવો તેવી મારી આપની સમક્ષ ઈચ્છા તેમજ પ્રાર્થના છે.'' ત્યારે ગણેશજીએ કહ્યું કે, ''હું લહિયો બનું પણ મારી એક શરત છે કે તમારે અટકવાનું નહીં. જો તમારી વાણી અટકી ગઈ તો હું આગળ લખી નહી શકું.'' ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, ''મારી પણ એક શરત છે કે, ''હું બોલું અને મારા શબ્દો સમજ્યા વિચાર્યા વગર તમારે લખવા નહીં.'' આમ, બન્ને જણાએ શરત કરી ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. આમ, ભગવાન વેદવ્યાસજી અને ગણેશજીની અનુકંપાથી સમગ્ર વિશ્વને મહાભારત જેવો પુણ્યતમ ગ્રંથસાગર જગતને પ્રાપ્ત થયો.

વળી કહેવામાં આવ્યું છે કે, જે મહાભારત ગ્રંથમાં છે તે બધે જ છે. જે મહાભારત ગ્રંથમાં નથી તે બીજે ક્યાંય નથી. પણ ભગવાન ગણેશજી જો ન હોત તો આપણને મહાભારત ગ્રંથ પ્રાપ્ત ન થયો હોત. તેથી ભગવાન વેદવ્યાસજી અને ગણેશજીનો આપણા ઉપર મોટો ઉપકાર છે. વ્યાસ એટલે જે વિસ્તારે. ભગવાન વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો. પુરાણોને ક્રમબદ્ધ કર્યાં, પણ મહાભારત જેવા ઈતિહાસ ગ્રંથ માટે એમણે ભગવાન ગણેશજીની ઉપાસના કરી.

આ પ્રસંગ આપણને એ પ્રેરણા આપે છે કે, ગણેશજીની જો કૃપા થાય તો વ્યક્તિને જ્ઞાાન પ્રાપ્ત થાય. કારણ કે, ગણેશજીના નામમાં જે 'ગ' શબ્દ છે તે 'જ્ઞાાન વાચક' શબ્દ છે. 'ણ' શબ્દ છે તે 'નિવૃત્તિ વાચક' છે. આમ, ભગવાન ગણેશ જ્ઞાાનના પણ દાતા છે અને નિવૃત્તિ માર્ગના પણ દાતા છે. માટે જ સનાતની પરંપરામાં ગણેશજીની ઉપાસનાનું અનન્ય મહત્વ છે. નાના-મોટા શુભ કાર્યો, વિવાહ, ઈત્યાદિ જેવા શુભ કાર્યો માટે આપણે ગણેશજીની ઉપાસના કરતાં હોઈએ છીએ. પણ મહર્ષિ વેદવ્યાસજીએ લેખનમાં ગણેશજીને યાદ કર્યા. એટલે ગણેશજીની કૃપા હોય તો સારું લેખન કાર્ય પણ થઈ શકે. વળી એમને વિઘ્નેશ્વર એટલા માટે કહેવામાં આવ્યા કારણ કે, તેઓ 'વિઘ્નકર્તા' પણ છે અને 'વિઘ્નહર્તા' પણ છે. તો જેવી રીતે મહર્ષિ વેદવ્યાસજીની સન્મુખ બિરાજીને ગણેશજીએ કૃપા દ્રષ્ટિ કરી એવી અનુકંપા સૌના ઉપર કરે એ જ અભ્યર્થના સાથે અસ્તુ..

પ્રજ્ઞાાચક્ષુ ડો.કૃણાલ જોષી


Google NewsGoogle News