નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)નુંમહત્ત્વ !
ગીતાનો ભાવાર્થ છે કે,
'કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો,
ફળની ઇચ્છા છોડી દઇને, કર્મ કરવાને જોડાઈ જા,
સઘળી વાતો છોડી દઇને, પ્રભુને શરણે દોડી જા,
શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે, ફક્ત તું શરણે જા.
વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે. આ એકાદશીનું વ્રત એ પણ ેક પ્રકારની ભક્તિ છે. એકાદશી એ ત્યાગનું વ્રત છે. શરીરની તમામ ઇન્દ્રિયોને સંયમપૂર્વક રાખવા આવાં વ્રતો જરૂરી છે. ઇન્દ્રિયોનો સંયમ ચોમાસામાં આરોગ્યની દ્રષ્ટિએ પણ આવા ઉપવાસ જરૂરી છે. તે આરોગ્યની સાથે સાથે પ્રભુની સાથે તાલ મિલાવે છે, આથી જ ચાતુર્માસનો મહિમા વધુ છે. એકાદશીનું વ્રત જીભને નવા ચટકા કરાવવા માટે નથી તેનાથી તો અપરાધ થાય અને આરોગ્યને નુકશાન થાય છે. વ્રત કરનારા ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે. શ્રધ્ધાથી જ વ્રત કરવું, શ્રધ્ધા વગરનું અને સમજ્યા વિનાનું કરેલું વ્રત કે ઉપવાસ ફળતાં નથી.
નિર્જળા એકાદશીનું મહાત્માય શું છે ? કરવાથી શું ફાયદો થાય. આ વ્રત પાછળ એક કથા છે કે ભીમને ખાવા પુષ્કળ જોઇએ, તેનાથી ભૂખે રહેવાતું ન હતું તેથી ભીમસેને વ્યાસજીને પૂછયું કે : 'હે પિતામહ ! મારા બધા ભાઈઓ અને માતાજી ઉપવાસ કરે છે અને એકાદશી વ્રત કરે છે, તો આપ મને એવો ઉપાય બતાવો કે હું ભૂખ્યો ન રહું અને વ્રત પણ ગણાય. હું પ્રભુની ભક્તિ કરીશ, ધ્યાન ધરીશ, પ્રાર્થના કરીશ.' વ્યાસજી હસ્યા અને કહ્યું કે ભીમસેનજી. તારે સ્વર્ગમાં મૃત્યુ બાદ જવાની ઇચ્છા હોય તો આ ઉપવાસ તો તારે કરવો જ પડશે. આ દિવસ જેઠ સુદી અગિયારસ હતી. ભીમે આ અગિયારસનું વ્રત કર્યું અને ફળફળાદિ પણ ન લીધાં. આ અગિયારસમાં તેણે પાણી પણ ન પીધું. અને દુનિયાને બતાવ્યું કે, વગર અન્ન કે ફળફળાદિ ખાધા વિનાવ્રત થઇ શકે છે. આથી પુરાણકારોએ આ અગિયારસને ભીમ અગિયારસ નિર્જળા એકાદશી નામ આપી ભીમની કીર્તિને વધારી. એવું માનવામાં આવે છે કે બધી અગિયારસો ન થાય પણ આ એક નિર્જળા એકાદશી તેના નિયમ મુજબ કરવામાં આવે તો બધી અગિયારસનું ફળ મળે છે. આ દિવસે અન્ન ખાનારનો ખરાબ યોનિમાં જન્મ થાય છે. પદ્મપુરાણમાં આનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે.
આ દિવસે કરેલું અન્નદાન અક્ષય થાય છે, ગાયનું દાન શ્રેષ્ઠ ગણાય છે. મહાભારહતમાં પણ નિર્જળા એકાદશીની કથાનો ઉલ્લેખ છે. વ્રત (અગિયારસ) પોતાનાં શ્રીજીનું શરણ અને સ્મરણ, યમુનાષ્ટક, સર્વોત્તમ પાઠ કરવા વૈષ્ણવો માટે શ્રેષ્ઠ છે.
- બંસીલાલ જી. શાહ