મોસાલી, તા. 31 જાન્યુઆરી 2019, ગુરૂવાર
તડકેશ્વર ગામે પરણીત પુરૂષે બબ્બે પત્ની હોવા છતાં ત્રીજી મહિલા સાથે પ્રેમ કરી, પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રેમીએ રપ લાખ રોક્ડા અથવા પિતાનું મકાન અપાવવા દહેજની માંગણી કરી હતી. આ પુરૂષ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કરતો હતો અને પત્ની આ કામે સહકાર ન આપે તો મારઝુડ કરતો હતો. પોલીસે ફરીયાદ બાદ તેની અટક કરી છે. આ પુરુષે ગામની જ અને મુસ્લિમ સમાજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, આ પુરુષ અગાઉ બે લગ્ન કરી ચુક્યો છે.
બનાવની વિગત એવી છે કે તડકેશ્વર, ગામે જુમ્મા મસ્જીદ ફળિયામાં રહેતા ઈબ્રાહીમ મોહમદ ઈલ્યાસ નુરગત કે જેણે અગાઉ બે લગ્નો કર્યા છે. તેમ છતાં તડકેશ્વર ગામે નવી નગરી વિસ્તારમાં રહેતી ર૪ વર્ષિય મરીયમ નામની યુવતી સાથે પ્રેમ કરી એની સાથે તા.૧૮-૧૧-૨૦૧૭નાં રોજ લગ્ન કરી લીધા હતા. લગ્નબાદ તે દંપતિ સાસરીમાં રહેવા લાગ્યા હતા. પાછળથી મરીયમને પોતાના પતિનાં કારનામાની ખર પડી કે પતિ નવી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનો શોખી હોય તેની શારીરિક હવસ સંતોષી છોકરીઓને છોડી દેતો હતો.
લગ્નબાદ થોડા સમય સુધી તેણે મરીયમને સારી રીતે રાખેલ. ત્યારબાદ તેની સાથે નાની-નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. સાથે જ અવાર નવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કરતો હતો. જો તે ના પાડે તો તેને મારતો હતો. તેણે મરીયમને કહ્યું હતું કે બાપુજીનાં ઘરેથી રપ લાખ રૂપીયા અથવા તારા બાપુજીનું તડકેશ્વર ખાતે જે મકાન આવેલ છે તે મકાન મને આપો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો.
આખરે મરીયમે તડકેશ્વર આઉટ પોલીસ ચોકી ખાતે અરજી આપતા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસે આઈપીસી તથા દહેજ પ્રતિબંધક ધારા એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈઆર દાખલ થતાં જ ઈબ્રાહીમ નુરગત ભુગર્ભમાં ઉતરી ગયો હતો.
સાથે જ આગોતરા જામીન મેળવવા દોડધામ શરૂ કરી હતી પરંતુ આગોતરા જામીન ન મળતાં, આખરે તા.૨૯-૧-૧૯નાં પોલીસની શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે કાયદેસરની અટકી કરી, નામદાર સિવિલ કોર્ટમાં હાજર કરતા, કોર્ટે જામીન ન આપતા હાલમાં ઈબ્રાહીમ નુરગતને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.


