સુરત SOGએ રાંદેર અને હજીરામાંથી રૂ.4.16 કરોડના 8 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ત્રણને ઝડપી લીધા

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
સુરત SOGએ રાંદેર અને હજીરામાંથી રૂ.4.16 કરોડના 8 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ત્રણને ઝડપી લીધા 1 - image

image : Freepik

- મહિના પહેલા હજીરા ફરવા ગયેલા બે મિત્રોને દરિયા કીનારે ચરસના પેકેટ મળતા વેચવા માટે લાવી ઘરની પાછળ ઝાડી-ઝાંખરામાં ખાડો ખોદી સંતાડી દીધા હતા 

- તેમાંથી બે પેકેટ રામનગરના મિત્ર જતીન ઉર્ફે જગ્ગુ ભગતને વેચવા આપ્યા હતા : તે વેચાણ કરતો હોવાની માહિતી એસઓજીને મળતા તમામ ઝડપાયા 

સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર 

સુરત એસઓજીએ પાલનપુર પાટીયા વિસ્તારમાંથી બેકાર યુવાનને 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી પાડી તેની પુછપરછના આધારે હજીરા ગામ નીલમનગર સોસાયટીના એક ઘરમાં રેઈડ કરી ત્યાં ઘરની પાછળ ઝાડીઝાંખરામાં ખાડો ખોદી સંતાડેલા 6 કિલોગ્રામથી વધુ વજનના ચરસના પેકેટ કબજે કરી બીજા બે યુવાનની ધરપકડ કરી હતી. એસઓજીએ તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મહિના પહેલા હજીરા ફરવા ગયેલા બે મિત્રોને દરિયા કીનારે ચરસના પેકેટ મળતા વેચવા માટે લાવી ઘરના વાડામાં ખાડો ખોદી સંતાડી દીધા હતા અને તેમાંથી બે પેકેટ મિત્રને વેચવા આપ્યા હતા.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ કંસારાભાઈને મળેલી બાતમીના આધારે સુરત શહેર એસઓજીએ રાંદેર પાલનપુર પાટીયા રોડ લક્ષ્મી ડેરીની ગલીમાં વોચ ગોઠવી જતીન ઉર્ફે જગ્ગુ ગીરીશભાઈ ભગત ( ઉ.વ.26 રહે.ઘર નં.28,  કિર્તીનગર સોસાયટી, રામનગર પાસે, રાંદેર સુરત )ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.1,08,65,000 ની મત્તાના 2.173 કિલોગ્રામ ચરસ કબજે કર્યું હતું. આ અંગે એસઓજીએ પુછપરછ કરતા જતીન ઉર્ફે જગ્ગુએ ચરસનો જથ્થો હજીરા વિસ્તારના બે યુવાનોએ આપ્યાની કબૂલાત કરી હતી.તેના આધારે એસઓજીએ ગત મોડીરાત્રે હજીરા ગામ નીલમનગર સોસાયટી મકાન નં.453 માં રહેતા પિંકેશ શાંતીલાલ પટેલ ( ઉ.વ.26 ) ના ઘરે રેઈડ કરી હતી.

એસઓજીએ તેના ઘરની પાછળ ઝાડીઝાંખરામાં જમીનમાં ખાડો ખોદી સંતાડેલા રૂ.3,07,40,000 ની મત્તાના 6.146 કિલોગ્રામ ચરસના પેકેટ કબજે કરી પિંકેશ અને તેના મિત્ર અભિષેક ઉર્ફે અભી રોહિતભાઈ પટેલ ( ઉ.વ.26, રહે.મકાન નં.101, સંકલ્પ રો હાઉસ, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા, સુરત ) ની પણ ધરપકડ કરી હતી.બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ એક મહિના પહેલા હજીરા દરીયાકાંઠા વિસ્તારમાં ફરવા ગયા હતા ત્યારે દરીયા કિનારેથી ચરસના પેકેટ બિનવારસી મળતા તેને વેચીને પૈસા કમાવવા ઘરે લાવી ઘરની પાછળ ઝાડી ઝાંખરાવાળી જમીનમાં સંતાડી દીધા હતા. તેને વેચવા ગ્રાહક શોધતા હતા તે સમયે બે પેકેટ મિત્ર જતીન ઉર્ફે જગ્ગુ ભગતને વેચવા આપ્યા હતા.એસઓજીએ આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જતીન ઉર્ફે જગ્ગુ છ વર્ષ અગાઉ અડાજણ પોલીસ મથકમાં અપહરણ, હત્યાના ગુનામાં તેમજ હાલમાં રાંદેર પોલીસ મથકમાં દારૂના ગુનામાં ઝડપાયો હતો. અગાઉ કાર લે-વેચનો ધંધો કરતો જતીન હાલ બેકાર છે. પિંકેશ હાલ અદાણી કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળનો ક્રેઈન ઓપરેટર છે. જયારે અભિષેક એએમએનએસ કંપનીમાં લેબર સપ્લાયર છે.


Google NewsGoogle News