સુરતીઓ સ્પષ્ટ સૂચના: ફાયર NOC અને BU જલદી મેળવી લેજો! નહીંતર ધંધા પાણી થઇ જશે બંધ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Surat Municipal Corporation


Surat Corporation Fire Safety Drive : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ અધિકારીઓ સામે ભરવામાં આવી રહેલા પગલાં બાદ સુરત પાલિકાના અધિકારીઓ પણ કડકાઈ દાખવી રહ્યાં છે. અત્યાર સુધી ખેતીની જગ્યામાં અને પાલિકાના અનામત પ્લોટ પર બંધાયેલા ટેમ્પરરી સ્ટ્રકચર સામે કોઈ પગલાં નહીં ભરનારા અધિકારીઓએ આગામી દિવસોમાં મંજૂરી વિના કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રકચરમાં વેપાર ધંધા ન થાય તેવું સ્પષ્ટ કરી દીધું છે.

જોકે, હાલમાં ટેમ્પરરી સ્ટ્રકચર માટે ફાયર એન.ઓ.સી. અને વિકાસ પરવાનગી (બીયુ પરમીશન) માટે પંદર દિવસથી બે મહિનાનો સમય આપવાની વાત કરી છે. જોકે, સાથે સાથે પાલિકાએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ સમય પાલિકાની મજુરી માટેનો છે તેથી તે સમય દરમિયાન વેપાર ધંધો થઈ શકશે નહીં. પાલિકાએ આપેલા સમય દરમિયાન પણ જો મંજૂરી નહીં મળે તો મિલકત ફરી સીલ કરવા માટેની પણ તાકીદ કરી છે.

રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકાની સીલીંગની કામગીરી સામે વિરોધ થઈ રહ્યો છે રાજકીય દબાણ અને સમુહમાં વિરોધ કરીને સીલ ખોલવા માટે માગણી થઈ રહી છે. જોકે, રાજકોટ દુર્ઘટના બાદ ભલામણ કરનારા સામે કોઈ પગલાં નહીં અને અધિકારીઓ સામે પગલાં ભરાતા સુરત પાલિકાના અધિકારીઓ પણ નિયમોમાં બાંધછોડ કરવા માંગતા નથી. છેલ્લા કેટલાક દિવસથી ટેમ્પરરી સ્ટ્રકચરના સીલ ખોલવા માટે માગણી થઈ રહી છે. 

ટેમ્પરરી સ્ટ્રકચરમાં બે પ્રકારના ધંધા થઈ રહ્યાં છે નાના સ્ટ્રકચર પતરાના બનાવાયા છે અને બધી તરફથી ખુલ્લા છે તેવા કેટલાક નાના રેસ્ટોરન્ટ છે જ્યારે બીજા કિસ્સામાં મોટા ડોમ બનાવી દેવાયા છે. આ અંગે અનેક રજૂઆત થતાં આજે પાલિકાના ફાયર વિભાગ અને શહેરી વિકાસ વિભાગની સંયુક્ત બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય કર્યો હતા. 

સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનર અને ફાયર વિભાગના વડા ડો.રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર અને શહેર વિકાસ વિભાગના વડા મનીષ ડોક્ટર અને ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ તથા ઝોનના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક બાદ એક વાત સ્પષ્ટ કરવામાં આવી હતી કે ટેમ્પરરી સ્ટ્રકચર પાલિકાની જરૂરી મંજૂરી વિના કોઈ પણ સંજોગોમાં ચાલુ કરવા દેવામાં આવશે નહીં. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ફાયર એન.ઓ.સી. માટે 15 દિવસ અને વિકાસ પરવાનગી માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. 

આ સમય આપવા સાથે પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સમય દરમિયાન સીલ ખોલવામાં આવશે પરંતુ તેમાં કોઈ પણ જાતની ધંધાકીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવશે નહીં. આ સમય દરમિયાન ફાયર એન.ઓ.સી. અને બીયુ પરમિશન માટેની પ્રક્રિયા કરવાની રહેશે. જો આપેલા સમય દરમિયાન પાલિકા સમક્ષ જમીનની માલિકીથી માંડીને મંજુરી માટેના તમામ પુરાવા રજુ કરવાના રહેશે.

આ પુરાવાની ચકાસણી કર્યા બાદ જ મંજુરી આપવામાં આવશે. જે ટેમ્પરરી સ્ટ્રકચર મંજૂરી મેળવવામાં નિષ્ફળ જશે તે મિલકત આ સમય મર્યાદા બાદ ફરીથી સીલ કરવામાં આવશે. પાલિકાના આ નિર્ણય બાદ આગામી દિવસોમાં હવે ટેમ્પરરી સ્ટ્રકચર માટે જરૂરી મંજૂરી માટેની પ્રક્રિયા કરવા સીલ ખોલી આપવાનો નિર્ણય કરાયો છે.


Google NewsGoogle News