હોળીને લઈને સુરતમાં ગાઈડલાઈન જાહેર કરી, માટી-છાણના લીંપણ કર્યા બાદ ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા સુચના

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
હોળીને લઈને સુરતમાં ગાઈડલાઈન જાહેર કરી, માટી-છાણના લીંપણ કર્યા બાદ ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા સુચના 1 - image

image : Socialmedia

- ધાર્મિક વિધિ માટે રસ્તાની જાળવણી માટે પાલિકાના બેવડા ધોરણ : દર વર્ષે હોળી પ્રગટાવે તેના માટે ગાઈડ લાઈન પણ જાહેર રોડ પર રસોડા માટે ચુલા સળગાવે તેના માટે કોઈ ગાઈડ લાઈન નહી 

સુરતમાં હોળીના તહેવાર પહેલા આ વર્ષે પણ સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. સુરતના જાહેર કે સોસાયટીના રસ્તા પર  માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે. સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટે અનેક સૂચનો શહેરીજનોને કર્યા છે અને મોટા ભાગના સુરતીઓ તેનો અમલ પણ કરે છે. પરંતુ પાલિકાની ગરમીથી રોડ બચાવવાની નીતિ માત્ર હોળી પૂરતી જ સીમિત થઈ જાય છે. ધાર્મિક વિધિ માટે રસ્તાની જાળવણી માટે પાલિકાના બેવડા ધોરણ દર વર્ષે હોળી પ્રગટાવે તેના માટે ગાઈડલાઈન પણ જાહેર રોડ પર રસોડા માટે ચુલા સળગાવે તેના માટે કોઈ ગાઈડ લાઈન નહી હોવાના આક્ષેપ પાલિકા પર થઈ રહ્યાં છે. 

સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે પણ સુરત શહેરમાં હોળીના તહેવાર પહેલા હોળી પ્રગટાવવા પહેલા હોળી કેવી રીતે પ્રગટાવવી તે માટેની જાહેર સુચના અને અપીલ સુરતીઓને કરી છે. પાલિકા દર વર્ષે હોળી પહેલા આ પ્રકારની સૂચના જાહેર કરે છે અને સુરતીઓ તેનો અમલ પણ કરી રહ્યાં છે. પાલિકાએ હોળી માટે ગાઈડલાઈન જાહેર કરી છે તેમાં સુરીતઓને   હોળી આવા જાહેર માર્ગો ઉપર સીધા ડામર રોડ ઉપર લાકડાં, ઘાસ, છાણા વિગેરે એકઠા કરી હોળી પ્રગટાવવી નહી તેવું સ્પષ્ટ કર્યું છે. આ પ્રકારે હોળી પ્રગટાવવાથી  હોળીની આગની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે અને જેને કારણે આવા જંકશનને મરામત પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે, તેમજ જાહેર જનતાને અગવડતા થાય છે તેવો તર્ક રજુ કર્યો છે. 

હોળીની ગરમીથી રોડ ને બચાવવા માટે પાલિકાએ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે તે ગાઈડ લાઈન પ્રમાણે  પ્રથમ ડામર રસ્તા પર છાણ માટીનું જાડું લીંપણ કરવામાં આવે, તથા તેના પર ઈંટ અથવા રેતી-માટીના થર પાથર્યા બાદ હોળી પ્રગટાવી તેમ જણાવ્યું છે. આવા પ્રકારે હોળી પ્રગટાવવાથી પાલિકાના રોડને નહીવત નુકસાન થાય છે તેથી આ પ્રકારે હોળી પ્રગટાવવા માટે અપીલ કરી છે. 

આ ઉપરાંત  હોળી સીધેસીધી ડામર રસ્તા કે સિમેન્ટ કોંક્રિટ રોડ પર પ્રગટાવવી નહી સાથે  ટ્રાફિકની અવરજવર તેમજ તેની નજીકથી પસાર થતા રાહદારીઓને હોળીની જવાળા થી નુકશાન ન થાય તેવું સ્થળ પસંદ કરવા માટે પણ અપીલ કરી છે. હોળી પ્રગટાવવા માટેની સૂચના સાથે હોળીને ઠારવા માટેની પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

પાલિકાએ આ માટેની ગાઈડ લાઈન જાહેર કરતાં કહ્યું છે કે, હોળી પ્રગટાવીને ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ તેમજ હોળી ઠારવાની/ઠંડી કરવાની ધાર્મિક વિધિ સંપૂર્ણ થયા પછી હોળી પ્રગટાવવા ના કારણે ઉત્પન્ન થતી રાખ, નહીવત બળેલા લાકડા તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી જેવી કે ધાન, નાળિયેર તેમજ અન્ય પ્રાસાદિક વસ્તુ હોળી પ્રગટાવેલ સ્થળથી સલામત સ્થળે ખસેડવા ની તકેદારી રાખવી પડશે.

પાલિકાએ જે ગાઈડ લાઈન જાહેર કરી છે તે પ્રમાણે જ સુરતીઓ હોળી પ્રગટાવવાની અને ઠારવાની કામગીરી કરે છે. પરંતુ પાલિકાના રોડ બનાવવાના નિયમો માત્ર હોળી પુરતા જ સિમિત હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આક્રોશપૂર્ણ રીતે કહે છે, શહેરના કેટલાક સમાજ ના લોકો જાહેર રોડ પર રસોડા કરે છે તેનાથી રોડને ભારે નુકસાન પણ થાય છે પરંતુ પાલિકા તંત્ર આવા લોકો સામે કોઈ કામગીરી કરતી નથી અને જે લોકો નિયમોના પાલન કરે છે તેવા લોકો સામે જ કાર્યવાહી કરે છે. આમ ગરમીથી રોડ બચાવવા માટે પાલિકાના બેવડા ધોરણો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

તહેવારની ઉજવણીમાં  પાલિકાના બેવડા ધોરણની ફરિયાદ સ્થાયી સમિતિમાં પણ થઈ હતી

સુરત પાલિકા દ્વારા સ્વચ્છતા ની જાળવણી માટે ધામિક ઉજવણીમાં થતા ન્યુસન્સ  બદલ પાલિકાના બેવડા ધોરણ અપનાવતા હોવાની ફરિયાદ સ્થાયી સમિતિમાં થઈ હતી. સ્થાયી સમિતિ ના મહિલા સભ્યએ વરઘોડામાં ફટાકડાના કચરા માટે દંડની કામગીરીને બિરદાવવા સાથે રસ્તાને નુકસાન કરી ભોજન બનાવાતું હોય તેવી પ્રવૃત્તિ સામે દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી જાહેરમાં રોડને નુકસાન કરી થતા ન્યુસન્સ બંધ કરાવવા માટે પાલિકા કાર્યવાહી કરે તેવી રજૂઆત કરી હતી તમ છતાં આ મુદ્દે પાલિકા એ બેવડા ધોરણ બદલ્યા નથી.

લગ્ન પ્રસંગે વરઘોડા માં ફટાકડાના કચરા માટે દંડ કરવામાં આવે તે ઘણી સારી વાત છે પરંતુ કેટલાક વિસ્તારમાં લગ્ન પ્રસંગે જાહેર રોડ પર જ ચુલા મુકીને મોટી સંખ્યામાં વાસણો ગોઠવી રસોઈ બનાવવામા આવે છે. આ પ્રવૃત્તિના કારણે રોડને નુકસાન થઈ રહ્યું છે અને જાહેર રોડ પર ન્યુસન્સ પણ થઈ રહ્યું છે. આવી ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર બેવડા ધોરણ બદલવા તૈયાર ન હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.


Google NewsGoogle News