સુરતના વિનોદભાઈ મરતા મરતા 7 લોકોને નવું જીવન આપતા ગયા, લોકોએ રીતસર સલામ કર્યુ

Updated: Mar 11th, 2023


Google NewsGoogle News
સુરતના વિનોદભાઈ મરતા મરતા 7 લોકોને નવું જીવન આપતા ગયા, લોકોએ રીતસર સલામ કર્યુ 1 - image


- લેઉવા પટેલ સમાજના વિનોદભાઈ વેકરીયાના અંગદાનથી સાત વ્યક્તિને નવજીવન મળ્યું

સુરત,તા.11 માર્ચ 2023,શનિવાર

અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રોઢના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુરગામના વતની અને હાલમાં અમરોલીમા છાપરાભાઠા રોડ આદર્શનગરમા રહેતા 57 વર્ષીય વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ગત તા.8 તારીખે રાત્રે માથામાં દુઃખાવો હતો. જેથી ગત તા.9મીએ વહેલી સવારે તે ઘરે બેભાન થઇ જતા પરિવારજનોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. ત્યાં ડોક્ટરની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બાદમા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિનોદભાઈના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

હૃદય મુંબઈની પ્રાઇવેટ હોસ્પિટલને, ફેફસાં હોસ્પિટલને, લિવર સુરતની ખાનગી હોસ્પીટલને, એક કિડની અમદાવાદની  હોસ્પિટલમાં બીજી કિડની આઈ આઈ કે ડી આર સીને ફાળવવામાં આવી હતી. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું.

સુરતના વિનોદભાઈ મરતા મરતા 7 લોકોને નવું જીવન આપતા ગયા, લોકોએ રીતસર સલામ કર્યુ 2 - image

સુરતની ખાનગી હોસ્પિટલથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના કોહલાપુરમા  રહેતા 59 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની હોસ્પિટલમાં અને તેમની ટીમ દ્વારા તેમજ ફેફસાનું મુંબઈની હોસ્પિટલમાં મુંબઈના કાંદીવલીમા રહેતા 58 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે લિવરનું વ્યારાની રહેતા 49 વર્ષીય મહિલામાં સુરતની હોસ્પિટલમાં અને તેમની એક કિડનીનું અમદાવાદની રહેતા 69 વર્ષીય મહિલામાં અમદાવાદની હોસ્પિટલમાં અને બીજી કિડનીનું વડોદરાની રહેતા 32 વર્ષીય મહિલામાં અમદાવાદની હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ 44 અને ફેફસાના દાન કરાવવાની 14મી ઘટના છે. વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત (ઉ.વ 31) અને હિરેન (ઉ.વ 29) છે જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે.


Google NewsGoogle News