સુરત પાલિકાના અડાજણ વિસ્તારમાં બનેલા EWS આવાસમાં સપ્તાહમાં બીજીવાર સ્લેબના પોપડા પડ્યા
- પાલિકાના સાત વર્ષ પહેલા બનાવેલા આવાસ લોકો માટે આફત
- પાલિકાએ 2014માં આવાસનું લોકાર્પણ કર્યું હતું આવાસની ગુણવત્તા પર અનેક સવાલ : તમામ આવાસની ગુણવત્તાની ચકાસણીની માગણી
સુરત,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર
સુરત પાલિકાએ લોકોને ઘરના ઘર આપવા માટે અનેક જગ્યાએ આવાસ બનાવ્યા છે પરંતુ કેટલાક આવાસની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં પાલિકાએ સાતેક વર્ષ પહેલા બનાવેલા ઇડબલ્યુએસ આવાસની એક બિલ્ડિંગના ફ્લેટની છત પરથી એક અઠવાડિયામાં બીજી વાર પોપડા પડ્યા હતા. સદ્દનસીબે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ કેમ્પસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ બિલ્ડીંગની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ખોડિયાર માતાજીના મંદિર સામેની જગ્યામાં પાલિકા દ્વારા ઇડબલ્યુએસ આવાસ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2014માં પાલિકાએ બનાવેલા આવાસ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. ગત સપ્તાહમાં આ આવાસના એક બિલ્ડીંગમાં છત પરથી પોપડા પડ્યા હતા. ત્યાર બાદ ગઈકાલે રાત્રે ફરી એકવાર બિલ્ડીંગમાં પોપડા પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.
પાલિકાના અડાજણ વિસ્તારમાં બનાવેલા આ ઇડબલ્યુએસ આવાસના બિલ્ડીંગ નબર-9માં ફ્લેટ નંબર 23માં છત પરથી મોટું ગાબડું પડ્યું હતું અને પોપડા પડ્યા હતા. જોકે, આ સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. એક જ સપ્તાહમાં બીજી વાર પોપડા પડતા બિલ્ડીગમાં રહેતા લોકોમા ગભરાટ ફેલાયો છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે બિલ્ડીંગની ગુણવત્તા ન હોવાથી આવા બનાવ બને છે અને તે રહેવાસીઓ માટે જોખમી છે જેના કારણે આ બિલ્ડીંગની સ્ટકચર સ્ટેબીલીટીની ચકાસણી કરવાની માગણી પણ થઈ રહી છે.