513 કરોડના ખર્ચે સચિન-ભેસ્તાન સહિત ગુજરાત અને મુંબઈના રેલ્વે સ્ટેશનોની કરવામાં આવશે કાયાપલટ
Updated: Jun 25th, 2024
Amrit Bharat Station Scheme : સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરતની આજુબાજુના અન્ય નાના રેલવે સ્ટેશનોની પણ કાયાપલટ કરવામાં આવી રહી છે. સુરત પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે પણ અમૃત ભારત સ્ટેશન હેઠળના કેટલાક સ્ટેશનોના સુધારણા અને કાયાકલ્પનું કામ શરૂ કર્યું છે.
પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓ વિનીત અભિષેકે કહ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોની સુધારણાનું કામ ચાલી રહ્યું છે, જેમાં રૂ.513 કરોડના ખર્ચે 56 કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ 8 ઉપનગરનાં સ્ટેશન છે, જેમાં મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, મલાડ, જોગેશ્વરી કોચિંગ ટર્મિનલ, પાલઘરનો સમાવેશ થાય છે જ્યારે 11 બિન-ઉપનગરીય સ્ટેશનો એટલે કે અંબરગાંવ રોડ, સંજન, વાપી, બીલીમોરા (નેરોગેજ), સચિન, ભેસ્તાન, બારડોલી, નંદુરબાર, અમલનેર, ધરણગાંવ વગેરેનો સમાવેશ થાય છે. 17 સ્ટેશનો પર છૂટક કિઓસ્ક, એલિવેટર્સ અને એસ્કેલેટર સાથે રૂફ પ્લાઝાના રૂપમાં 12 મીટર પહોળા FOBનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે બુકિંગ કાઉન્ટર પર ટિકિટ જારી કરતા મુસાફરો અને બુકિંગ ક્લાર્ક વચ્ચેના સંદેશાવ્યવહારમાં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ ઉધના-જલગાંવ સેક્શન પર 10 સ્ટેશનો પર ટોક બેક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સુરક્ષા પગલાં વધારવાના ઉદ્દેશ્ય સાથે, સ્ટેશનો પર વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. આ ટોકબેક સિસ્ટમ મુસાફરો અને કાઉન્ટર પર ટિકિટ જારી કરતા કર્મચારીઓ વચ્ચે દ્વિ-માર્ગી સંચારને સરળ બનાવવામાં મદદ કરશે. ઉપરાંત, ટિકિટ બુકિંગ દરમિયાન પેસેન્જર અને બુકિંગ ક્લાર્ક વચ્ચેની ગેરસમજને કારણે થતી તકરારને કાબૂમાં લેવામાં આવશે. અને પારદર્શિતા જળવાઈ રહેશે. મુસાફર બુકિંગ ક્લાર્ક પાસેથી ટોક બેક સિસ્ટમ દ્વારા વાતચીત સાંભળી શકે છે.
શારીરિક રીતે અશક્ત મુસાફરોની માટે ખાસ સુવિધા
શારીરિક રીતે અશક્ત મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા સ્ટેશનના પ્રવેશદ્વારની નજીક ખાસ ડિઝાઇન કરાયેલ શૌચાલય અને પીવાના પાણીના બૂથ અને આરક્ષિત પાર્કિંગ જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે. દૃષ્ટિહીન મુસાફરોની સગવડ માટે 39 સ્ટેશનો પર બ્રેઇલ સંકેત તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે આવા મુસાફરોને સ્ટેશનો પર સુરક્ષિત રીતે નેવિગેટ કરવામાં મદદ કરવા માટે સ્પર્શેન્દ્રિય માર્ગો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ બિન-ઉપનગરીય સ્ટેશનો પર કુલ 86 વ્હીલચેર ઉપલબ્ધ છે, જ્યારે ઉપનગરીય સ્ટેશનો પર પ્લેટફોર્મ દીઠ 1 વ્હીલચેરની જોગવાઈ કરવામાં આવી છે. 24 સ્ટેશનો પર પહેલેથી જ 69 લિફ્ટ છે હજુ 13 પર કામ ચાલી રહ્યું છે જેમાં ચોમાસાની સિઝન પછી વધુ 13 લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે.