સુરત પાલિકાના કાર્યપાલક ઈજનેર સામે પ્રોસીક્યુશનની કાર્યવાહી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાના કાર્યપાલક ઈજનેર સામે પ્રોસીક્યુશનની કાર્યવાહી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત 1 - image


- લાઈટ એન્ડ ફાયર વિભાગમાં કામ કરતા કાર્યપાલક ઈજનેર માનસંગ ચૌધરી સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં કેસ દાખલ થયો હતો : એસીબીની માગણીના આધારે મ્યુનિ. કમિશ્નરે દરખાસ્ત રજુ કરી

સુરત,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર

સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2018માં એક કાર્યપાલક ઈજનેર સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં કેસ દાખલ થયો હતો અને કાર્યપાલક ઈજનેર સહિત બે કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને જામીન પણ મળી ગયા હતા. પરંતુ કોર્ટ કેસની કાર્યવાહી બાકી હોય એસીબી દ્વારા પાલિકાને પ્રોસીક્યુશનની  કામગીરીની મંજુરી માટે પત્ર લખવામાં આવ્યા હતા. હાલમાં એસીબીની માગણીના આધારે પાલિકા કમિશનરે કાર્યપાલક ઈજનેર સામે  પ્રોસીક્યુશનની કાર્યવાહી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરી છે. તેના પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવશે. 

સુરત મહાનગરપાલિકાના લાઈટ એન્ડ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર માનસંગ ચૌધરી સામે વર્ષ 2018માં એન્ટી કરપ્શન બ્યુરોમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે માનસંગ ચૌધરી અને બે કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેરની ધરપકડ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં કોર્ટમાં ભ્રષ્ટાચારના કેસ સાબિત થયો ન હતો પરંતુ સત્તાનો દુરુપયોગ  કરવામાં આવ્યો હોવાની ટિપ્પણી કરવામાં આવી હતી. 

આ પ્રકારની ટિપ્પણી બાદ પાલિકાના કર્મચારીઓને જામીન આપી દેવાયા હતા અને તેમને પુનઃ ફરજ પર હાજર કરવામાં આવ્યા હતા. 2020માં તેમને પુનઃ ફરજ પર હાજર થયા બાદ તેમની સામે દાખલ કરાયેલા કેસ માટે કોર્ટ કાર્યવાહી બાકી હોય શહેરી વિકાસ વિભાગ અને એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા પાલિકા કમિશ્નરને અનેક વખત પત્ર લખવામાં આવ્યા હતા. જોકે, છ વર્ષ સુધી આ પ્રકારના પત્રવ્યવહાર ફાઈલ બહાર આવી ન હતી. પરંતુ હાલમાં એસીબીની માંગણી બાદ મ્યુનિ. કમિશ્નરે કાર્યપાલક ઈજનેર સામે પ્રોસીક્યુશનની કાર્યવાહી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરી છે. 

એસીબીમાં દાખલ કેસ અંતર્ગત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- 1988 ની કલમ 19 મુજબ પ્રોસીકયુશનની મંજુરી માંગવામાં આવી છે. પાલિકાના વર્ગ-1 ના કર્મચારી સામે પ્રોસીક્યુશનની મંજુરી માટે સક્ષમ સત્તાધિશની મંજુરી આવશ્યક છે. જેના કારણે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે. તેના પર શાસકો કયા પ્રકારના નિર્ણય લે છે તે ઘણું જ મહત્વનું બની રહેશે.


Google NewsGoogle News