'મંદિર વહી બનાયેંગે' ના નારા સાથે સુરતથી ગયેલા કેટલાક કારસેવકો મંદિર નિર્માણ ન જોઈ શક્યાનો પરિવારના સભ્યોનો વસવસો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
'મંદિર વહી બનાયેંગે' ના નારા સાથે સુરતથી ગયેલા કેટલાક કારસેવકો મંદિર નિર્માણ ન જોઈ શક્યાનો પરિવારના સભ્યોનો વસવસો 1 - image


- 1990 અને 19992માં કાર સેવામાં એક જ પરિવારના સભ્યો ગયા હોય તેવી ઘટના 

- કારસેવા માં બાપ- દિકરા, દાદા પૌત્ર- કાકા ભત્રીજા અને મામા-ભાણેજ ગયા હતા : મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પત્રિકા સ્વર્ગસ્થ કાર સેવકો ના ફોટા સામે મુકી અંજલી આપતા પરિવારજનો

સુરત,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની પાછળ અનેક કારસેવકોના પ્રાણ ની આહુતિ મહત્વની હતી. આજે ઘણી જગ્યાએ કારસેવકો ભુલાયા છે પરંતુ કારસેવકાનો દિલો દિમાગ માં આજે પણ રામ મંદિર ની યાદો ભુલાઈ નથી.. મંદિર વહી બનાયેંગે નારા સાથે ગયેલા કેટલાક કારસેવકો મંદિર નિર્માણ ન જોઈ શક્યાનો પરિવારના સભ્યોનો વસવસો આજે જોવા મળી રહ્યો છે. પોતાના વડિલોએ રામ મંદિર માટે કરેલા આંદોલન અને આપેલા બલિદાના કારણે આજે રામ મંદિર નું સપનું સાકાર થઈ રહ્યું છે તેવું પરિવારજનો માની રહ્યાં છે. મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પત્રિકા સ્વર્ગસ્થ કાર સેવકો ના ફોટા સામે મુકીને પરિવારના સભ્યો પોતાના વડીલો ને અંજલી આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યાં છે. 

'મંદિર વહી બનાયેંગે' ના નારા સાથે સુરતથી ગયેલા કેટલાક કારસેવકો મંદિર નિર્માણ ન જોઈ શક્યાનો પરિવારના સભ્યોનો વસવસો 2 - image

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા અનેક કિસ્સા તાજા થઈ રહ્યાં છે. રામ જન્મભુમિ આંદોલનની શરુઆત સાથે જ  સુરત અને ઓલપાડ ની ભુમિકા નોંધપાત્ર હતી. 1990-1992 અને 2002માં અયોધ્યા ખાતે કાર સેવા થઈ હતી તે તમામ ત્રણેય કાર સેવામાં નાનકડા ઓલપાડના કારસેવકો ની હાજરી રહી હતી. 

અયોધ્યાના રામ જન્મભૂમિ આંદોલન માટે કાર સેવામાં ઓલપાડના એવા અનોખા કાર સેવકો છે જેમાં બાપ દિકરા, દાદા પૌત્ર, કાકા ભત્રીજા અને મામા-ભાણેજ સહિત એક જ પરિવારના સભ્યો ગયા હતા. જે સમયે રામ મંદિર બનશે કે કેમ તે પ્રશ્ન હતો અને અયોધ્યામાં મુલાયમસિંહ ની સરકાર હતી ત્યારે સૌથી વધુ 33 કાર સેવકો ઓલપાડ અને આસપાસના વિસ્તારમાંથી ગયા હતા. 

રામ જન્મભૂમિનું કારસેવા નું પહેલું આંદોલન 1990માં થયું હતું તેમાં ઓલપાડના કારસેવકો 14 દિવસ સુધી નૈની સેન્ટ્રલ જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. ઓલપાડના  કારસેવકાનો જેલવાસ દરમિયાન કલ્યાણસિંહ પણ બેરકમાં હતા અને ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા તે વાતો આજે પણ કારસેવકો યાદ કરી રહ્યાં છે. 

1990 અને 1992માં ઓલપાડ થી કારસેવકો ભગુભાઈ સોની અને મગનભાઈ પટેલની આગેવાનીમાં ગયા હતા. જેમની આગેવાનીમાં કારસેવા થઈ હતી તે બન્ને આગેવાનો આજે રામ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવા માટે હયાત નથી. આ ઉપરાંત  આ કાર સેવામાં હસમુખભાઈ ટેલર, ભીખુભાઈ ચૌહાણ, શાંતિલાલ ગજ્જર, ભીમજીભાઈ પટેલ, દેવીદાસ પાટીલ, ગેમલસિંહ  સહિતના અનેક કારસેવકો આજે હયાત નથી. 

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે ત્યારે આ મૃતક કારસેવકના પરિવાર જનો પોતાના વડીલો ને યાદ કરી રહ્યાં છે. ભગુભાઈ સોની નો દિકરો કમલેશ સોની, ભીમજી ભાઈ પટેલ નો પૌત્ર ઘનશ્યામ પટેલ, હસમુખભાઈ ટેલર નો પુત્ર રાજુ ટેલર અને મગનભાઈ પટેલનો પુત્ર ઉમંગ પટેલ  સહિત અનેક મૃતક કાર સેવક ના પરિવારજનો મૃતક કારસેવક વડીલ ના ફોટાને પ્રણામ કરીને અયોધ્યા  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અક્ષત આવ્યા છે તે અને પત્રિકા ફોટા સામે ધરીને તેમનું સપનું સાકાર થયું હોવાનું કહી તેમને અંજલિ આપી રહ્યાં છે.

ઓલપાડ થી કાર સેવકો ગયા હતા તેમાં  હસમુખભાઈ ટેલર 1990માં જ્યારે તેમનો દિકરો રાજુ ટેલર 1992 અને 2002માં કાર સેવામાં ગયા હતા. 1900ની કાર સેવામાં દાદા ભીમજીભાઈ પટેલ સાથે તેમનો પૌત્ર ઘનશ્યામ પટેલ જોડાયો હતો. જ્યારે ભીખુભાઈ ચૌહાણ સાથે તેમનેો ભત્રીજો રજનીકાંત ચૌહાણ પણ જોડાયો હતો. આમ અન્ય કારસેવકો સાથે એક જ પરિવારના એક કરતા વધુ સભ્યો કારસેવા માં જોડાયા હોય તેવા ઓલપાડના અનોખા કારસેવકો આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે.


Google NewsGoogle News