સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર પુર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર પુર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય 1 - image


- અકસ્માતોની વણઝાર બાદ પણ બેફામ બસ દોડાવવાની ફરિયાદ યથાવત

- નક્કી કરેલી સ્પીડ પર જ બસ ચલાવવા માટે બસ ઓપરેટરોને ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની તાકીદ, જોખમી બસ ચલાવનારને છોડવામાં નહીં આવે 

સુરત,તા.7 નવેમ્બર 2023,મંગળવાર

સુરત શહેરમાં દોડતી સીટી બસના ડ્રાઇવર બેફામ બસ દોડાવી જીવલેણ અકસ્માત કરતા હોવાની ફરિયાદ બાદ ઝીબ્રા ક્રોસિંગ પર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય કરાયો છે. આ પ્રકારના દંડની જોગવાઈ પહેલા હતી નહીં પરંતુ સતત વધી રહેલા અકસ્માત અટકાવવા માટે દંડનીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 

સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર પુર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય 2 - image

સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સામુહિક પરિવહન સેવા ડ્રાઇવર કન્ડક્ટરની બેદરકારીના કારણે વિવાદ બની છે. પાલિકાના સિટી બસના કંડકટર પૈસા લઈ મુસાફરોને ટીકીટ આપતા નથી તો બીજી તરફ ડ્રાઇવર બેફામ બસ દોડાવી અકસ્માત કરી રહ્યાં છે. આ અંગેની અનેક ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ અધિકારીઓઅને સભ્યો સાથે પાલ, અડાજણ તથા ઉગત કેનાલ રોડ પર આવેલ ત્રણેય અલગ અલગ એજન્સી(એલટ્રા, ચાર્ટર, આદિનાથ)ના ડેપોની મુલાકાત લીધી હતી. રાઉન્ડ દરમ્યાન બસ સંબંધિત ફરિયાદ બાબતે ચેરમેને અધિકારીઓને સૂચના આપી છે.

ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે એ જણાવ્યું છે કે, પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં રોજના અઢી લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરે છે. સામુહિક પરિવહન સેવા સફળ થઈ રહી છે અને પાલિકા સતત સેવામાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. તો બીજી તરફ પાલિકાની સિટી બસના ડ્રાઈવર દ્વારા બેફામ બસ દોડાવવામાં આવતી હોવાથી અકસ્માત થવા સાથે પાલિકાની ઈમેજને પણ ફટકો પડે છે. જેના કારણે આજે મુલાકાત દરમિયાન અધિકારીઓને બસની સ્પીડ લીમીટ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 

સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર પુર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય 3 - image

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, વધુ પડતી બસની ઝડપના કારણે અકસ્માત થઈ રહ્યાં છે. એજન્સીના સંચાલક સૂચનાઓ આપી હતી કે શહેરના દરેક ચાર રસ્તા પર, ઝીબ્રા ક્રોસિંગ અને ઓવર બ્રિજ પર બસ ડ્રાઈવરે ધીમે ચલાવવાની રહેશે. કોઈપણ ડ્રાઈવર એવું સમજે કે  રસ્તો અમારો છે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત ગાર્ડન વિભાગ સાથે સંકલન કરી બીઆરટીએસ રોડની અંદર જે પણ મોટા ઝાડ હોય તેનું સમયસર ટ્રિમિંગ કરી તેનો સમયસર રિપોર્ટ આપવા જણાવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં બીઆરટીએસ રૂટમાં લોકો વોકિંગ ઝોન બનાવી દીધો છે જેથી આ વોકિંગ ઝોનને કેવી રીતે અટકાવી શકાય તેના માટે પણ આગામી દિવસોમાં રણનીતિ બનાવવામા આવશે. 

આ ઉપરાંત તેઓએ ક સૂચના આપતા કહ્યું હતું કે સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવર ફરજિયાત પણે લાયસન્સ સાથે રાખવું પડશે. જો બસ ડ્રાઈવર પાસે લાયસન્સ સાથે નહીં હોય તો તેમની સામે સખ્તાઈથી પગલા લેવામાં આવશે.


Google NewsGoogle News