સંજય દત્ત અને અર્શદ વારસી જેલમાં!

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
સંજય દત્ત અને અર્શદ વારસી જેલમાં! 1 - image


બોલુવુડની સુપરહીટ કોમેડીયન જોડી સંજય દત્ત અને અર્શદ વારસી હવે જેલમાં જોવા મળશે.  ફોડ પાડીને  કહીએ તો સંજય દત્ત અને અર્શદ વારસી બંને હવે  'જેલ' નામની ફિલ્મમાં  આવી રહ્યા છે.    

બોલિવુડના ટોચના દિગ્દર્શક રાજકુમાર હીરાણીની સુપરહીટ 'મુન્નાભાઇ એમબીબીએસ' (૨૦૦૩) અને ત્યાર બાદ 'લગે રહો  મુન્નાભાઇ' (૨૦૦૬), આ બંને ફિલ્મમાં સંજય દત્ત(મુન્નાભાઇ) અને અર્શદ વારસી(સર્કીટ)એ  જબરી ધુમ મચાવી હતી. મુન્નાભાઇ અને સર્કીટ નામ આખા ભારતમાં બેહદ લોકપ્રિય બની ગયાં હતાં. 

સિદ્ધાર્થ સચદેવના દિગ્દર્શનમાં બની રહેલી 'જેલ' ફિલ્મમાં  જોકે સંજય દત્તનું  નામ મુન્નાભાઇ અને અર્શદ વારસીનું નામ સર્કીટ નહીં હોય. મજાની બાબત તો એ છે કે 'જેલ'ની કથા-પટકથા દિગ્દર્શક સિદ્ધાર્થ સચદેવ અને સંજય દત્ત બંને ભેગા મળીને લખી રહ્યા છે.

 સિદ્ધાર્થ સચદેવના કહેવા મુજબ અમારી જેલ ફિલ્મની કથા બે સામાન્ય માનવીની  છે. આ બંને શખસને કોઇ એક ગુના માટે જેલની સજા થાય છે. જેલમાં ગયા બાદ બંને જબરા મુંઝાય છે. જેલમાંથી કઇ રીતે બહાર આવવું તેની વાત કરે છે. સાથોસાથ પ્રયાસ પણ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમમાંથી હાસ્યની જબરી છોળ પણ ઉડે છે.  

સિદ્ધાર્થ  સચદેવના  કહેવા મુજબ   સંજય દત્ત બહુ સારો વાર્તાકાર છે.  સંજય પાસે ઘણા નવા નવા આઇડિયા હોય છે. અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે મુન્નાભાઇ એમ.બી.બી.એસ. અને લગે રહો મુન્નાભાઇ બંને ફિલ્મમાં સંજય દત્તે તેના મુન્નાભાઇના અને અર્શદ વારસીએ તેના સર્કીટના પાત્રને એટલાં જીવંત બનાવી દીધાં છે કે હવે અમારે બંનેને તેમની ભૂમિકામાંથી બહાર લાવવા  પડશે. હાલ તો સંજય દત્ત અને અર્શદ વારસી બંને તેમની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમનાં શૂટિંગ પૂરાં થઇ જશે એટલે અમે 'જેલ'નું શૂટ શરૂ કરીશું.  


Google NewsGoogle News