રસિકા દુગ્ગલ : મારે મારી પ્રતિભાને નીચોવી દેવી છે
જીવનમાં ક્યારેક મનગમતી વસ્તુ અચાનક જ અણધારી -અનપેક્ષિત રીતે મળી જાય ત્યારે જે ખુશી મળે તે અવર્ણનીય હોય. અભિનેત્રી રસિકા દુગ્ગલ પણ આ વાત માને છે. અને તેને આવો અનુભવ પણ થયો છે.
રસિકા કહે છે કે તમારા માટે જે પ્રોજેક્ટ એકદમ ખાસ હોય એ ત્યારે મળે જ્યારે તમે તેની અપેક્ષા જ ન રાખી હોય. અને હું જ્યારે બ્રેક લેવાની તૈયારીમાં હતી ત્યારે મને રોહન સિપ્પી દ્વારા અમેરિકન સીરિઝ પરથી બનાવવામાં આવનારી 'અનરીઅલ'ની ઓફર આવી. હું તો હંમેશાથી રોહન સિપ્પી સાથે કામ કરવા ઉત્સુક હતી તેથી મેં એ ઓફર તત્કાળ સ્વીકારી લીધી અને એક અઠવાડિયા પછી તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું. આદર જૈન સાથેની આ સીરિઝ મને છેલ્લી ઘડીએ ઓફર થઈ. ત્યારે મને એ વાતની અનુભૂતિ થઈ કે અગાઉ ક્યારેય ન ભજવી હોય એવી ભૂમિકા આમ અચાનક જ અણધારી મળી જાય. તેમાં મારું પાત્ર ચપળ, માર્મિક, ચીડિયું છતાં હસમુખ-આનંદી પણ છે. અમેરિકન સીરિઝના આ ભારતીય સંસ્કરણમાં મૂળ શોની ત્વરિત વક્રોકિત, ચપળતા બખૂબી વણી લેવામાં આવ્યા છે.
અદાકારાને આ વર્ષ આ સીરિઝ હાથ લાગી. તો ગયા વર્ષે તેણે 'મિર્ઝાપુર' ની ત્રીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ક્રાઈમ ડ્રામામાં શાંત પ્રકૃતિનું ગૃહિણી 'બીના ત્રિપાઠી' સારી રીતે જાણે છે કે પુરૂષપ્રધાન ઘરમાં પોતાનો માર્ગ શી રીતે શોધવો. જોકે આ સીરિઝની ત્રીજી સીઝન લાંબા વર્ષો પછી આવી તેથી અભિનેત્રી માટે વચ્ચેના સમયગાળા સાથે પાર પાડવાનું સહેલું નહોતું. રસિકા કહે છે કે હું 'બીના' ની ભૂમિકા માટે પૂરતી તૈયાર નહોતી. બે સીઝન વચ્ચેનો ગાળો પરિવર્તનકાળ ગણાય. અને એ ગાળો તમારા પાત્રમાં ઉજાગર થવો જોઈએ. 'બીના' અત્યંત રસપ્રદ કિરદાર છે. પરંતુ તેને કેમેરા સામે ભજવવાથી પહેલા ઘણી વખત મને એમ લાગતું જાણે હું તેને વિસરી ગઈ છું. જોકે તેને ફરીથી સંભારવામાં મને શોના લેખકની ભરપૂર મદદ મળી છે. તેનું જડબેસલાક લખાણ મારા પાત્રને રજૂ કરવામાં સહાયક બની રહ્યું. અને જ્યારે તેના લેખક પુનીત કૃષ્ણને મને કહ્યું કે 'આપને સબ અચ્છે સે કિયા. તમે 'બીના' ને ગૌરવપ્રદ રીતે રજૂ કરી. હું પણ દરેક સીઝન વખતે આ વાત સંભારીને જાણે કે મારી જાતને કહું છું કે તારે 'બીના' ને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાની છે.
આ વર્ષે રસિકા શાહરૂખ ખાનના નિર્માણમાં બની રહેલી ઈન્વેસ્ટિગેટિવ થ્રિલર 'કર્તવ્ય' માં સૈફ અલી ખાન સાથે કામ કરી રહી છે.
જોકે અદાકારા હાલના તબક્કે આ પ્રોજેક્ટ વિશે એક શબ્દ પણ ઉચ્ચારી શકે તેમ નથી. રસિકાએ આમ છતાં એટલું કહ્યું હતું કે આ સિનેમાએ અભિનેત્રી તરીકે તેને વિકસિત કરી છે. અદાકારાએ વધુમાં કહ્યું હતું કે મને એવા કિરદાર અદા કરવા છે જે મારી અંદર રહેલી પ્રતિભા નીચોવી નાખે.