રણદીપ હૂડાએ પાત્રમાં પ્રાણ પૂરવા પોતાના પ્રાણ જોખમમાં મુક્યા

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
રણદીપ હૂડાએ પાત્રમાં પ્રાણ પૂરવા પોતાના પ્રાણ જોખમમાં મુક્યા 1 - image


- કલાકાર એક્સટ્રીમ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થતો હોય ત્યારે વ્યક્તિગત મહેનત ઉપરાંત પ્રિયજનોની મદદની પણ જરૂર પડતી હોય છે.

ફિ લ્મ સર્જનના જટિલ ક્ષેત્રમાં જ્યાં ઘણીવાર ડેડલાઈન ચુકી જવાતા ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સ્વાતંત્ર્ય વીર સાવરકરના શૂટમાં થયેલો વિલંબ એક્ટર રણદીપ હૂડા માટે પડકાર હતો. પોતાની ભૂમિકામાં પ્રાણ પૂરવા ૩૨ કિલો વજન ઘટાડનાર રણદીપ નિર્માણમાં થયેલી પીછેહઠને કારણે પેદા થયેલા સ્ટ્રેસ ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય સામેના ગંભીર જોખમોનો પણ સામનો કર્યો હતો.

શરૂઆતમાં ફિલ્મ ઉદ્યોગની પ્રચલિત પદ્ધતિ મુજબ આ ફિલ્મ માટે નિર્ધારીત સમયપત્રક તૈયાર કરાયું હતું. પણ આ સમયપત્રકનું વારંવાર ઉલ્લંઘન થયું. પ્રોજેક્ટમાંથી પાછા હટવાના નિર્માતાઓના નિર્ણયને કારણે રણદીપે માનસિક ઉપરાંત શારીરિક ત્રાસ પણ ભોગવવો પડયો હતો. પોતાના અનુભવનું વર્ણન કરતાં રણદીપે ૨૦૧૬માં 'સરબજીત' માટે કરેલા પ્રયાસની પણ યાદ અપાવી હતી. તે વખતે પણ  તેણે લાંબા સમય સુધી સામાન્ય કરતાં ંઘણું ઓછું વજન જાળવી રાખવું પડયું હતું.

'સરબજીત' પોતાનો અનુભવ યાદ કરતા કહે છે કે તેણે ૩૨ કિલો વજન ઘટાડી  લીધા પછી નિર્માતાઓએ પ્રોજેક્ટ છોડી દીધો. એ સમયે રણદીપના મોટાભાગના સ્નાયુઓ ઓછા થઈ ગયા હતા. એવા સમયે રણીદપ ઘોડેસવારી કરતા પડી જતા તેનો પગ વળી ગયો હતો. રણદીપે આઠ અઠવાડિયાની પથારી ભોગવવી પડી અને ફરી વજન વધારવું પડયું હતું. 

ત્યાર પછી રણદીપને ચાલવાની પણ તકલીફ પડતા તેણે ફિઝીયોથેરપીસ્ટની મદદ લેવી પડી હતી. તેણે પાણીની અંદર ટ્રેડમીલ પર ચાલવાની કસરત કરવી પડી હતી. 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ફિલ્મના એક દ્રશ્ય જેમાં સાવરકર ફ્રાન્સ નાસી જાય છે તેના માટે પણ આ તાલીમ જરૂરી હતી.

શૂટીંગ ફરી શરૂ થતાં રણદીપે ઝડપથી વજન ઘટાડવાના મુશ્કેલ કાર્ય માટે  ફાસ્ટ મિમિકિંગ ડાયેટ સહિતના પગલાં લેવા પડયાં. અનેક પડકારો હોવા છતાં રણદીપ પોતાના પાત્રને ન્યાય આપવા પ્રતિબદ્ધ રહ્યો. તેના મતે શારીરિક પરિવર્તન એક આ પાત્રના નિરૂપણ માટે અત્યંત જરૂરી હિસ્સો હતો. 

આ સંઘર્ષની સમગ્ર સફર દરમ્યાન રણદીપ હૂડાએ સેટ પર  અને સેટ બહાર બંને સ્થળે પોતાની ડોક્ટર બહેન પર ઘણો મદાર રાખ્યો હતો. ફિલ્મમાં રણદીપની આ ડોક્ટર બહેન પણ એક ભૂમિકા ભજવે છે,  જેમાં તે સાવરકરને માર્ગદર્શન આપે છે. એક સમયે તો તેની બહેને રણદીપને કહી દીધું કે જો તે વધુ વજન ઘટાડશે તો તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેની બહેને સેટ પર કેમેરા તોડીને જતા રહેવાની ધમકી પણ આપી હતી. આ બાબત દર્શાવે છે કે આવાં પરિવર્તન માટે વ્યક્તિગત મહેનત ઉપરાંત પ્રિયજનોની મદદની પણ જરૂર પડે છે. આ તમામ મુશ્કેલી છતાં રણદીપ સમગ્ર અનુભવને હળવાશથી લઈને રમૂજ કરતા કહે છે કે મને તો આ પડકારોનો સામનો કરવાની બહુ મોજ પડી. 

હોલિવુડ એક્ટર ક્રિશ્ચિયન બેલે પણ એક ફિલ્મ માટે આવું એક્સ્ટ્રીમ ટ્રાન્સફોર્મેશન કર્યું હતં. રણદીપની તુલના આ હોલિવુડ સ્ટાર સાથે થવી સ્વાભાવિક છે. રણદીપ કહે છે કે તેને આવો જ કોઈ રસપ્રદ રોલ મળશે તો તે ફરી પાછું આ બધું જ નવેસરથી કરવા તૈયાર છે. જોકે આવાં  પરિવર્તન દ્વારા થતી શારીરિક અને માનસિક પરેશાનીનો રણદીપે સ્વીકાર કર્યો છે. એ કહે છે કે ભવિષ્યમાં એ વધુ સમજદાર વ્યક્તિઓ સાથે કામ કરવા માગે છે જે પ્રોજેક્ટની ગુણવત્તા અને કલાકારોના આરોગ્ય બંનેનું મહત્વ સમજતા હોય.  


Google NewsGoogle News